ગાંધીનગર : અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે દહેગામના નાંદોલ ખાતે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
સમગ્ર રાજ્યમાં આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -2024નો પ્રારંભ થયો છે ત્યારે ગાંધીનગરના દહેગામ તાલુકાના નાંદોલ ખાતે આવેલી લક્ષ્મીપુરા નાંદોલ પ્રાથમિક શાળા ખાતે અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે ભૂલકાંને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાંને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને બાલવાટીકા અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સચિવે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
આ પ્રસંગે અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે. ત્યારે શિક્ષકો અને માતા પિતાની પણ કેટલીક ફરજ છે.જેમકે માતા પિતાએ બાળકોને શાળાએ મોકલવા જ પડે તો જ તેમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થશે. એવી જ રીતે શિક્ષકોએ પણ જાગૃત રહેવાનુ છે.વર્ગખંડમાં બાળકોની કોઈ એક સિધ્ધાંત કે આદતથી માપણી ન કરતા દરેક બાળકમાં શું ખાસિયત છે તે ઓળખી તેને વિક્સાવવી જોઈએ.બાળકોના માનસપટ પર ખરાબ અસર થાય તેવા શબ્દો ન વાપરવા જોઈએ.
કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને અધિક મુખ્ય સચિવે શુભેચ્છાઓ પાઠવી હતી.અને રુબરુમાં બાળકો સાથે વાત કરી તેમનો અભિપ્રાય લીધો હતો.તેમજ શાળાના વર્ગખંડો,બાલવાટીકા તથા પરિસરનું નિરિક્ષણ અને વૃક્ષારોપણ કરી જરૂરી સુચનો કર્યા હતા.
