ગીર- સોમનાથ: નવાબંદર ખાતે રૃપિયા 295.85 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના મત્સ્ય બંદરનું નિર્માણ કરાશે
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા ગીર- સોમનાથ જિલ્લાના નવાબંદર ખાતે રૃપિયા 295.85 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના મત્સ્ય બંદરનું નિર્માણ કરાશે. જેનું ડિજિટલ ખાતમૂહુર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત મત્સ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યારે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને માછીમારોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર દરિયામાં માછીમારી કરતા માછીમારોને સમૃદ્ધ બનાવવા,મત્સ્ય ઉદ્યોગને વેગ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નવાબંદરને અત્યાધુનિક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના માછીમારોને પડતી તકલીફોને નિવારવા માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. આથી માંગરોળ, વેરાવળ, પોરબંદર સહિતના દરેક બંદરના વિકાસ માટે રાજ્ય સરકાર કાયમ કટિબધ્ધ રહેશે. તેમણે ઉમેર્યું કે, આ નવા અત્યાધુનિક બંદરથી માછીમારોએ પકડેલી માછલીઓનો બગાડ થતો અટકશે. તેમજ કુદરતી આફતોથી અનેક વખત માછીમારોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે તે સામે રક્ષણ મળશે. તો બીજી તરફ નવાબંદરનો વિકાસ થતા સ્થાનિક માછીમારોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.
