ગુજરાતના 115 જળાશયોમાં 100 ટકા જળસંગ્રહ
Live TV
-
45 જળાશયોમાં 70થી 100 ટકા વચ્ચે જળસંગ્રહ, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 86 ટકાથી વધુ જળસંગ્રહ
ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના ૫૫ ટકાથી વધુ એટલે કે ૨૦૬ જળાશયોમાંથી ૧૧૫ જળાશયો સંપૂર્ણ-૧૦૦ ટકા જ્યારે ૪૫ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૧૭ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૨૦ ડેમમાં ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૯ ડેમમાં ૨૫ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૮૮,૨૪૮ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૪૦,૭૭૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૯ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૮૧ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ૨.૩૫ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૪૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વણાકબોરી જળાશયમાં ૧.૬૬ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૬૬ લાખની જાવક, ઉકાઈમાં ૧.૪૭ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૪૭ લાખની જાવક, કડાણા જળાશયમાં ૭૧ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૯૬ હજાર ક્યુસેક પાણીની જાવક તેમજ પાનમ જળાશયમાં ૨૩ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૨૨ હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૮૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૮૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૮ ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૨ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત ૨૦૭ જળાશયોમાં અત્યાર સુધીમાં ૮૧ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ ૨૦૭ જળાશયોમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.