ગુજરાતના 12 લાખથી વધુ શ્રમિકોને રૂ.2,029 કરોડનું બોનસ, ઈ-શ્રમ પોર્ટલ પર વધુ 4 લાખ શ્રમિકોની નોંધણી
Live TV
-
1 મે 'આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ'ને લઈને ગુજરાત સરકારે શ્રમિકોના હિતમાં લેવાયેલા પગલાં અને સિદ્ધિઓના આંકડા જાહેર કર્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, વર્ષ 2024-25 દરમિયાન રાજ્યના 12.44 લાખથી વધુ શ્રમિકોને કુલ ₹2,029 કરોડથી વધુની રકમના બોનસની ચુકવણી કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, શ્રમિક દિવસ એ માત્ર એક દિવસ નથી પરંતુ રાષ્ટ્રના નિર્માણમાં પરસેવો પાડતા કરોડો શ્રમિકોના યોગદાનને બિરદાવવાનો ઉત્સવ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત સરકાર ટેકનોલોજી અને માનવીય સંવેદનાના સમન્વય દ્વારા શ્રમિકોને આર્થિક ન્યાય અને સુરક્ષા પૂરી પાડવામાં અગ્રેસર રહી છે.
ટેકનોલોજીથી શ્રમિકોની સુવિધામાં વધારો
શ્રમ સેતુ પોર્ટલ: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરાયેલા આ પોર્ટલનો ઉદ્દેશ્ય શ્રમિકોની ફરિયાદોનું ઝડપી અને પારદર્શક નિવારણ લાવવાનો છે. ગ્રેચ્યુઈટી, વેતન વધારો અને નોકરીમાંથી છૂટા કરવા જેવા વિવાદોના ઉકેલ માટે વર્ષ 2025માં આ પોર્ટલ દ્વારા 5,550 જેટલી ઓનલાઈન અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.શ્રમ સહાય કોલ સેન્ટર: શ્રમિકોના માર્ગદર્શન માટે કાર્યરત આ કોલ સેન્ટર પર વર્ષ 2025માં 18,402 કોલ્સ મળ્યા હતા, જેમાં શ્રમિકોને જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ડિજિટલ ઇન્સ્પેક્શન: નિરીક્ષણથી લઈને પાલન સુધીની તમામ પ્રક્રિયાઓ હવે ડિજિટલ કરવામાં આવી છે. વર્ષ 2025માં 13,810 ઓનલાઈન નિરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા.
વેતન અને આર્થિક લાભ
સરકારના મધ્યસ્થતા પ્રયાસોને કારણે વર્ષ 2025માં 1,232 સંસ્થાઓના 7,655 શ્રમિકોને વેતન તફાવત તરીકે ₹11.13 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત, દિવાળીના સમયગાળા દરમિયાન 12.44 લાખ શ્રમિકોને ₹2,029.17 કરોડના બોનસની વહેંચણી કરવામાં આવી હતી.શ્રમ સુધારા અને 'ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ'
કેન્દ્ર સરકારના 'જન વિશ્વાસ બિલ'ના અનુસંધાને ગુજરાત સરકારે ગુજરાત ઔદ્યોગિક સંબંધો અધિનિયમ અને ગુજરાત દુકાનો અને સંસ્થાઓ અધિનિયમમાં મહત્વના સુધારા કર્યા છે. આ સુધારાઓ દ્વારા વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવામાં આવી છે, જેનાથી વેપારીઓ અને ઉદ્યોગ એકમો માટે કામગીરી સરળ બનશે અને નવી રોજગારીની તકો ઊભી થશે.અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની નોંધણી
વર્ષ 2021માં શરૂ થયેલા 'ઈ-શ્રમ પોર્ટલ' પર અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની નોંધણી સતત વધી રહી છે. માત્ર 1 જાન્યુઆરી, 2025 થી 31 ડિસેમ્બર, 2025 ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં 4 લાખથી વધુ નવા શ્રમિકોએ આ પોર્ટલ પર નોંધણી કરાવી છે. સરકારના મતે, જ્યારે દેશનો શ્રમિક સમૃદ્ધ થશે ત્યારે જ ભારત સાચા અર્થમાં 'આત્મનિર્ભર' બનશે.
