ગુજરાતમાં મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો
Live TV
-
ગુજરાતમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે હાથ ધરાયેલી વ્યાપક કામગીરીના પરિણામે વર્ષ 2025ના સપ્તાહ-33ની સરખામણીમાં વર્ષ 2026ના સપ્તાહ-33 સુધીમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
મેલેરિયાના કેસ 1,407 થી ઘટીને 774, ડેન્ગ્યુના 1,293 થી ઘટીને 788 અને ચિકનગુનિયાના કેસ 154થી ઘટીને 80 થયા છે. આ સમયગાળા દરમિયાન મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી.મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે હાથ ધરાયેલા ઘર-ઘર સર્વેલન્સ અભિયાનમાં 6 કરોડ 51 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. અભિયાન દરમિયાન 2.57 લાખથી વધુ રક્ત નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં મેલેરિયાના 28 દર્દીઓ મળી આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી હતી.
રાજ્યમાં મચ્છરના 29.63 લાખથી વધુ ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે અને 3.21 લાખથી વધુ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત, 5,024 કાયમી જળ ભરાવવાળા સ્થળોએ લાર્વા ખાનારી માછલીઓ છોડવામાં આવી છે.મચ્છરજન્ય રોગોના સમયસર નિદાન માટે 42 હોસ્પિટલોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નિદાન કેન્દ્રો કાર્યરત છે. રાજ્ય સરકાર દ્વારા ચોમાસા દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં સર્વેલન્સ અને મચ્છર નિયંત્રણ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે.
