પોરબંદરમાં ‘સૌની યોજના’થી ડેમ અને તળાવો ભરાશે
Live TV
-
પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે ઓછા વરસાદને પગલે પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા ન સર્જાય તે માટે ગાંધીનગર ખાતે પાણી પુરવઠા અને સિંચાઈ યોજનાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં પોરબંદર જિલ્લાના તમામ ડેમ અને સિંચાઈ યોજનાઓને ‘સૌની યોજના’ના નેટવર્કથી ભરવા તેમજ 7 કિ.મી.ની ત્રિજ્યામાં આવતા તળાવો અને ડેમોમાં પાણી પહોંચાડવા માટે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.
ઘેડ વિસ્તારમાં ફેઝ-1 અને ફેઝ-2 હેઠળના કામોનું માઇક્રો પ્લાનિંગ કરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ બરડા વિસ્તારમાં દિપડાઝર, સરમણી, સોરઠી અને સુકાળા તળાવ સહિતની યોજનાઓની કામગીરી સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.સુકાળા તળાવની ઊંડાઈ અને પહોળાઈ વધારી જળસંગ્રહ ક્ષમતા વધારવા તેમજ કટોકટીના સમયે સૌની નેટવર્કથી ઇનટેક સ્ટ્રક્ચર સુધી જરૂરી એપ્રોચ ચેનલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા પણ સૂચના અપાઈ હતી.બંને મંત્રીઓએ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરી પોરબંદર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી તથા ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
