ગુજરાત ST નિગમના કર્મચારીઓને દિવાળી ભેટ, 7 હજારથી વધુ ફિક્સ પગારના કર્મચારીઓને લાભ
Live TV
-
તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કરાયો હતો, જેમાં ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં થયેલા વધારાનો લાભ ગુજરાત ST નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને મળશે તેવી વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. આ નિર્ણયથી 7 હજારથી વધુ ST વિભાગના કર્મચારીઓને લાભ થશે.
આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત ST વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ ST યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા
આજે ST વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રીશ્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત ST નિગમના અધિકારીઓ જોડાયા હતા. દિવાળી સમયે ગુજરાત ST વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે લેવાયેલા આ મહત્વપુર્ણ નિર્ણયથી કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ છે.