ચણાકામાં કુળદેવી માતા અંબાજી અને સુરાપુરાના દર્શન કરતા મુખ્યમંત્રીશ્રી
Live TV
-
ગુજરાતના દરેક નાગરિકના કલ્યાણની પ્રાર્થના કરીઃ વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત પિતૃવતનના ગામ જુનાગઢ જિલ્લાના ચણાકા ગામે પધારતા ગ્રામજનોએ મુખ્યંત્રીનું અદ્કેરૂ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીનું ચણાકા ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ સરપંચ ઉમેશભાઇ બાંભરોલીયાએ સ્વાગત કર્યું હતું. ગ્રામજનોએ હર્ષ ઉલ્લાસ સાથે મુખ્યમંત્રીને આવકાર્યા હતા. ચણાકામાં આવેલા રૂપાણી પરિવારના સુરાપુરા બેચરબાપાના સ્થાનક મંદિરે મુખ્યમંત્રીએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શાસ્ત્રી પુરણપ્રસાદ વ્યાસે પુજાવિધિ કરાવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ ચણાકાની ટેકરી ઉપર બિરાજમાન રૂપાણી પરિવારના કુળદેવી માતા અંબાના દર્શન કર્યા હતા. ચ્યવનેશ્વર આશ્રમ ખાતે મહાદેવના પણ દર્શન કર્યા હતા. આ પ્રસંગે આશ્રમના મહંતશ્રી રામાનંદબાપુએ આશીર્વાદ આપ્યા હતા.
મુખ્યમંત્રીએ આ તકે કહ્યું કે, વતનના ગામ ચણાકામાં ગ્રામજનોને મળીને આનંદની લાગણી થઇ છે. કુળદેવી અને સુરાપુરાના દર્શન કરી ગુજરાતના દરેક નાગરિકની ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી છે તેવી લાગણી વ્યક્ત કરી છે.
