ચોટીલા-રાજકોટ હાઈવે પર ભયાનક અકસ્માત, ડામરના ટેન્કર સાથે ટ્રાવેલ્સ અથડાતા બર્નિંગ બસના દ્રશ્યો
Live TV
-
ચોટીલા તાલુકાના સાંગાણી ગામ પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી રાજકોટ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી ટક્કરમાં 4 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
પ્રાથમિક અહેવાલો અનુસાર, ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આગળ જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. જેના કારણે પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી પ્રચંડ હતી કે શોર્ટ સર્કિટના કારણે બસમાં ગણતરીની મિનિટોમાં જ ભીષણ આગ ફાટી નીકળી હતી.રૂંવાટા ઉભા કરી દેતા દ્રશ્યો
બસમાં આગ લાગતા જ મુસાફરોમાં નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. જોતજોતામાં બસે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે 4 મુસાફરોને બહાર નીકળવાની તક સુધ્ધાં ન મળી અને તેઓ બસની અંદર જ જીવતા સળગી ગયા હતા. આગને કારણે મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવા માટે હવે DNA ટેસ્ટનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.વહીવટી તંત્ર અને પોલીસ કાર્યવાહી
દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનીય પોલીસ અને વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકોના મૃતદેહોને હાલ રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે બસમાં સવાર મોટાભાગના મુસાફરો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
