ચોમાસા પહેલા રાજ્યના ૧૦ હજાર તળાવોને ઉંડા કરાશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
Live TV
-
ચણાકામાં લેઉવા પટેલ સમાજ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીઓને શુભકામના પાઠવતા મુખ્યમંત્રી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પિતૃવતન ગામ ચણાકામાં વિકાસના કામોના લોકાર્પણ કર્યા બાદ ચણાકા લેઉવા પટેલ સમાજ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી પ્રભૂતામાં પગલા માંડનાર ૨૧ નવ દંપતીઓને સુખી દામ્પત્ય જીવનની શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રીના હસ્તે નવદં૫તીઓને ગૌ પૂજન સાથે ગાયનું દાન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, સમૂહ લગ્નએ અત્યારના સમયની માંગ છે. ભારતીય પરંપરામાં લગ્નએ ભવોભવનું જોડાણ છે. ભારતીય લગ્ન પ્રણાલી સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ચણાકામાં લગ્નગ્રંથીથી જોડાયેલા નવદંપતીઓને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ચણાકા અને ભેસાણ તાલુકામાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે સામુહિક પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે. તેઓએ કહ્યું કે, આગામી ૧લી મે થી રાજ્યના તળાવોને ઉંડા કરવાનું અભિયાન લોકભાગીદારીથી શરૂ થશે. નર્મદાની કેનાલ સાફ કરાશે અને જંગલના ચેક ડેમો પણ ઉંડા ઉતારવામાં આવશે. ૩૪ નદીઓને પુનઃ જીવીત કરાશે.
‘સૌની યોજના’માં ચાલુ વર્ષે ૩૬ ડેમો નર્માદાના પાણીથી ભરવામાં આવશે. સૌરાષ્ટ્રના ખેડૂતને વીજળી અને પાણી મળે તો ખેતીનો વિકાસ કરવા ખેડૂત સક્ષમ છે તેમ જણાવી આગામી દિવસોમાં ખેડૂતને પુરતુ પાણી મળશે તેમ જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૯માં બધા જ ડેમો ભરવામાં આવશે. ગૌ હત્યા નિવારણ માટે રાજ્ય સરકારે કડકમાં કડક કાયદો અમલમાં મુક્યો છે તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્ઞાતી અને જાતીનો ભેદભાવ ભુલીને ગુજરાતના ઉજવળ ભવિષ્ય માટે સંકલ્પબદ્ધ બનીએ. આ તકે નાગરિક પુરવઠા અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયાએ કહયું કે, સમૂહ લગ્નના આયોજનથી સામાજિક સમરસતા વધે છે અને સમાજ સેવાની સાથે પરિવારો પર ખર્ચનું ભારણ ઘટે છે. મંત્રીએ સમૂહ લગ્ન સમીતીના પ્રમુખ ઉમેશભાઇ બાંભરોલીયા અને તેમની ટીમને સુંદર આયોજન બદલ તથા દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમનું દિપ પ્રગટ્ય કર્યાબાદ મુખ્યમંત્રીના હસ્તે બે પ્રતીકરૂપ દંપતી સમિતાબેન અને નીકુંજભાઇ તેમજ રિંકલબેન અને ધર્મેશભાઇને ગૌ પૂજન સાથે ગીર ગાયની વાછરડીનું દાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ગૌ દાનના દાતા હિતેષભાઇ સુરતરીયાને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે અગ્રણી મહેશભાઇ સવાણી, બટુકભાઇ, જીતેન્દ્રભાઇ કોટડીયા સહિતના દાતાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સત્તાધારના મહંત વિજયબાપુ, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તેમજ સાંસદ રાજેશભાઇ ચુડાસમા, યુવા ભાજપના પ્રમુખ ડૉ.ઋત્વિજ પટેલ, પૂર્વમંત્રી જશુમતીબેન કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલ, ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, ગોરધનભાઇ ઝડફીયા, કનુભાઇ ભાલાળા, શ્રીમતી અંજલીબહેન રૂપાણી, શ્રીમતી જ્યોતીબેન વાછાણી, કલેક્ટર ડૉ.સૌરભ પારધી તેમજ અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા રામજીભાઇ ડોબરીયા, વિપુલભાઇ રામાણી, અશ્વિનભાઇ, ડૉ.નવીનતભાઇ, ચેતનભાઇ, જગદીશભાઇ બાંભરોલીયા, કાંતીભાઇ બાલધા, મનુભાઇ રામાણી, હરેશભાઇ સહિતની ટીમએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ.હરેશ કાવાણીએ કર્યું હતું.
