જામનગરમાં ટાઉન હોલ ખાતે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ શિબિર
Live TV
-
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન મુજબ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે જિલ્લા પંચાયત જામનગર દ્વારા જામનગર જિલ્લાની તમામ 417 ગ્રામ પંચાયત ને 86 ક્લસ્ટરમાં સમાવિષ્ટ કરી પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરેલ હતું. આ પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનના શુભારંભ પ્રસંગે આજ રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની, સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ટાઉનહોલ જામનગર ખાતે કૃષિ શિબિર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
તેમજ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત જુદી જુદી ખેત પેદાશો અંગેનું પ્રદર્શન તથા વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ તમામ સ્ટોલ કાર્યક્રમના સ્થળે રાજ્યપાલશ્રીના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જુદા જુદા ઉત્પાદનોના રાખવામાં આવેલ સ્ટોલ બપોરે 12:30 કલાક થી સાંજે 05:00 કલાક સુધી વેચાણ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. લોકોની આરોગ્ય સુખાકારી જળવાય અને ખેડુતની આત્મનિર્ભરતામાં સહયોગી બની શકીએ એ માટે જાહેર જનતાને આ પ્રદર્શન તથા વેચાણ સ્ટોલની મુલાકાત લેવા તથા ખેડૂતોએ પોતાના ખેતરે તૈયાર કરેલ પ્રાકૃતિક પેદાશો લોકો વધુમાં વધુ ખરીદ કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.