જામનગર: ઘીમાં ભેળશેળ કરતી પેઢી ખાતે રેડ, 550 લીટરથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
Live TV
-
ઘીમાં ભેળશેળ કરતી પેઢી ખાતે રેડ કરી રૂ.2.5 લાખની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર કચેરી દ્વારા ઘીમાં ભેળશેળ કરતી પેઢી ખાતે રેડ કરી રૂ.2.5 લાખની કિંમતનો આશરે 550 લીટરથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટેનો ફુડ પરવાનો ધરાવતા હતા, પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો. ઘીમાં ભેળશેળ કરવા માટેના વનસ્પતિ તથા પામોલીન તેલ પણ મળી આવ્યું હતું.
પેઢીના માલિક મહેશકુમાર ચાંદ્રા પાસેથી રાજભોગ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એડલ્ટન્ટરન્ટ તરીકે વનસ્પતિ તથા પામોલીન તેલ, ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટ મળી સ્થળ પરથી કુલ 06 નમૂનાઓ લેવામાં આવ્યા છે. નમૂના લીધા બાદ ઘીનો 120 લીટર, વનસ્પતિ તેલનો 32 લીટર, પામોલીન તેલનો 100 લીટર અને ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો 300 લીટર મળી કુલ 550 લીટરથી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાધપદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
