જૂનાગઢમાં : નવીનીકરણ બાદ અઢી વર્ષમાં 17.50 લાખ પ્રવાસીઓએ નિહાળ્યો ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો
Live TV
-
ગરવા ગિરનારની ગોદમાં આવેલો અને મૌર્યકાળના ઇતિહાસનો સાક્ષી રહેલો ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો આજે સદીઓ પછી પણ અડીખમ છે. પ્રધાનમંત્રી મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ ના વિઝનને સાકાર કરતા ગુજરાત સરકારે અંદાજે રૂ. 74 કરોડના ખર્ચે આ કિલ્લાનું ભવ્ય નવીનીકરણ કર્યું છે.
કિલ્લાના બદલાયેલા રંગ-રૂપના કારણે છેલ્લા આશરે અઢી વર્ષના ટૂંકા ગાળામાં જ 17.50 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ આ ભવ્ય વારસાની મુલાકાત લઈ ચૂક્યા છે.ઇતિહાસવિદોના જણાવ્યા અનુસાર, ઈસવીસન પૂર્વે બીજી-ત્રીજી સદીમાં આ કિલ્લાનું નિર્માણ મૌર્ય શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું. સમય જતાં વલ્લભીના મૈત્રકો, ચુડાસમા તથા રા' વંશ, મહંમદ બેગડો અને અંતમાં બાબી વંશના શાસકોએ અહીંથી પોતાનો વહીવટ ચલાવ્યો હતો. 62 એકરમાં ફેલાયેલા આ કિલ્લામાં સ્થાપત્ય અને ઇજનેરી કૌશલ્યના અદભુત નમૂનાઓ આવેલા છે.આ સ્થાપત્યો કોઈ ઈંટ-પથ્થર જોડીને નહીં, પરંતુ એક જ વિશાળ નક્કર ખડકને ઉપરથી નીચે તરફ કોતરીને બનાવવામાં આવ્યા છે.
નવીનીકરણ દરમિયાન મળી આવેલી લશ્કરી વાવ અને બૌદ્ધ ભિક્ષુઓની તપસ્યાની સાક્ષી પૂરતી ગુફાઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.પ્રવાસીઓની સુવિધા માટે ગાઈડ સર્વિસ, ગોલ્ફ કાર્ટ, સાયકલિંગ, ફૂડ કોર્ટ અને સ્વચ્છતાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગરથી આવેલા પ્રવાસીઓએ કિલ્લાની કાયાપલટને બિરદાવી છે. તેમણે જણાવ્યું કે, આ પ્રકારના ઐતિહાસિક સ્થળોના વિકાસથી નવી પેઢી ઇતિહાસને નજીકથી જાણી શકે છે. પ્રવાસીઓએ વિદેશ જવાને બદલે ભારતના જ સમૃદ્ધ પ્રવાસન સ્થળોને પ્રોમોટ કરવા અપીલ કરી છે.
