પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા પાલનપુર-સામાખ્યાલી સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ: સુરક્ષા અને યાત્રી સુવિધાઓની સમીક્ષા
Live TV
-
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ 17 જૂન 2026 ના રોજ અમદાવાદ મંડળના પાલનપુર–સામાખ્યાલી રેલવે સેક્શનનું વ્યાપક અને ઉચ્ચસ્તરીય નિરીક્ષણ કર્યું હતું.
આ નિરીક્ષણનો મુખ્ય હેતુ રેલવે સંચાલનમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોની પ્રગતિ તપાસવાનો અને યાત્રી સુવિધાઓની સમીક્ષા કરવાનો હતો. આ પ્રવાસ દરમિયાન તેમની સાથે અમદાવાદના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાપ્રબંધકે ન્યૂ પાલનપુર અને ભીલડી સ્ટેશન ખાતે ક્રૂ લોબી, રનિંગ રૂમ અને બેઝ કિચનની મુલાકાત લઈ લોકો પાયલોટ અને ગાર્ડ સાથે સીધો સંવાદ કર્યો હતો અને સ્ટાફની સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.‘અમૃત સ્ટેશન યોજના’ હેઠળ પુનર્વિકસિત થઈ રહેલા પાલનપુર સ્ટેશન પર પીવાના પાણી, પ્રતીક્ષાલય, ફૂટ ઓવર બ્રિજ (FOB) અને સ્વચ્છતાની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.લાકડિયા ખાતે રૂટ રિલે ઇન્ટરલોકિંગ (RRI) રૂમ, સ્ટેશન માસ્ટર કેબિન અને દુર્ઘટના રાહત તબીબી સાધનો (ARME) ની સઘન ચકાસણી કરવામાં આવી હતી.સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા મહાપ્રબંધકે પાલનપુરથી સામાખ્યાલી વચ્ચે રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ ફાટકો, નાના-મોટા પુલો અને સેક્શનના કર્વ્સ (Curves) નું વિન્ડો ટ્રેલિંગ દ્વારા બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.મહાપ્રબંધકે અમદાવાદ મંડળના પ્રથમ પુનર્વિકસિત સામાખ્યાલી સ્ટેશનની મુલાકાત લઈ યાત્રીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તેમણે સ્થાનિક મીઠાના વેપારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન મહાપ્રબંધકે જણાવ્યું કે પશ્ચિમ રેલવેએ વર્ષ 2029-30 સુધીમાં 200 મિલિયન ટન માલ લોડિંગનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં અમદાવાદ મંડળને ચાલુ નાણાકીય વર્ષમાં વધારાના 4 મિલિયન ટન લોડિંગનો લક્ષ્યાંક અપાયો છે. વેપારીઓએ રેલવે પ્રશાસન તરફથી મળતા સહયોગની પ્રશંસા કરી હતી અને માલ લોડિંગ વધારવા અંગે હકારાત્મક ચર્ચા કરી હતી.
