ટેકાના ભાવે તુવેર, રાયડો તેમજ ચણાની ખરીદીના કાલથી થશે રજિસ્ટ્રેશન: જયેશ રાદડિયા
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગઇકાલે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેક્સિનેશનને લઈ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. 16મી જાન્યુઆરીથી શરુ થનારા રસીકરણ અભિયાન માટે રાજ્યમાં કોરોના વેક્સિનનો જથ્થો પહોંચી ગયો છે. આ વેક્સિનના વિતરણ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ટેકાના ભાવે પાકની ખરીદી સંદર્ભે પણ આ કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ ચર્ચા બાદ પત્રકારો સાથે વાતચીતમાં પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ટેકાના ભાવે તુવેર, રાયડો તેમજ ચણાની ખરીદી માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે, રાજ્યમાં કુલ 99 કેન્દ્રો પર રાયડાની ખરીદી કરવામાં આવશે જે 16 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તારીખ 15 જાન્યુઆરીથી તુવેરની ખરીદી માટે રાજ્યમાં રજિસ્ટ્રેશન શરૂ થશે. સાથે જ કહ્યું હતું કે, રાજ્ય સરકારે ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે.
