પંચમહાલ જિલ્લામાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા અભિયાન ચાલશે, દર રવિવારે અલગ અલગ થીમ આધારીત સ્વચ્છતા કાર્યક્રમો યોજાશે
Live TV
-
લોકભાગીદારી થકી જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જનપ્રતિનિધિઓ સાથે સ્વચ્છતા ઝૂંબેશને સફળ બનાવવા જિલ્લા કલેક્ટરનો નાગરીકોને અનુરોધ
સમગ્ર ભારતમાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર આશિષ કુમારે જિલ્લાના નાગરીકોને અપીલ કરી છે.
જેમાં કલેક્ટર આશિષ કુમારે જણાવ્યું છે કે, પંચમહાલ જિલ્લામાં તા.15 ઓક્ટોબરથી લઈને 15 ડિસેમ્બર 2023 સુધી અલગ અલગ સ્થળો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઝુંબેશ હાથ ધરાશે. મહિનાના દર રવિવારે અલગ અલગ થીમ આધારિત લોકભાગીદારી સાથે ચોક્કસ સ્થળો ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે.આ સમય દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સરકારી કચેરીઓ ખાતે, નગરપાલીકા વિસ્તારમાં, ગ્રામ્ય પંચાયતો, આરોગ્ય કેંદ્ર, બસ સ્ટેશનો સહિતના સ્થળોએ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. નગરપાલીકાના પાંચ કિલોમિટરના વિસ્તારમાં ખાસ ફોકસ કરવામાં આવ્યું છે.જિલ્લા કલેક્ટર એ લોકભાગીદારી થકી જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જનપ્રતિનિધિઓની સાથે સ્વચ્છતા ઝૂંબેશને સફળ બનાવવા જિલ્લાની સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ સહિત લોકોને અપીલ કરી છે.
આ અગાઉ પંચમહાલ જિલ્લામાં 15 સપ્ટેબરથી શરુ થયેલા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં આવ્યું છે. સામાજીક સંસ્થાઓ સાથે લોકભાગીદારી થકી તમામ પંચાયતો, ગ્રામ્ય કક્ષા અને શહેરી કક્ષાએ સફળતાપુર્વક અભિયાન ચલાવવામાં આવ્યું છે.ખાસ કરીને 1 ઓક્ટોબરના રોજ જિલ્લામાં 800 થી વધુ સ્થળોને આઈડેન્ટીફાઈ કરીને સ્વચ્છતા મહાશ્રમનું આયોજન કરાયું હતું.
