પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે સુરત નવી સિવિલમાં 100મું સફળ અંગદાન
Live TV
-
દક્ષિણ ગુજરાતની આરોગ્ય ધામ ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલે અંગદાનના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ અને સુવર્ણ સીમાચિહ્ન સર કર્યું છે. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને એકાદશીના અતિ પાવન પર્વે હોસ્પિટલ ખાતે ૧૦૦મું સફળ કેડેવર અંગદાન સંપન્ન થયું છે. નવસારી જિલ્લાના અંબાડા ગામના રહેવાસી અને સામાન્ય ખેતમજૂર પરિવાર સાથે સંકળાયેલા 56 વર્ષીય સ્વ. ભલાભાઈ છગનભાઈ હળપતિના બ્રેઈન ડેડ થયા બાદ, તેમના પરિવારે ભારે હૃદયે પરંતુ અત્યંત ઉમદા ભાવના સાથે અંગદાનની સંમતિ આપી સમાજ સામે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સ્વ. ભલાભાઈના પરિવાર દ્વારા કરાયેલા 2 કિડની અને 1 લિવરના મહાદાનથી આજે ત્રણ ગંભીર દર્દીઓને નવજીવન સાંપડ્યું છે. આ ઐતિહાસિક ક્ષણે હોસ્પિટલના દર્દીસેવા યજ્ઞને નવી ઊંચાઈ બક્ષી છે.
આરોગ્ય મંત્રીએ પરિવાર વચ્ચે પહોંચી સાંત્વના પાઠવી
ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને સમજીને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત નવી સિવિલ હોસ્પિટલની ખાસ મુલાકાત લીધી હતી. મંત્રીએ સ્વ. ભલાભાઈ હળપતિની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્વ. ભલાભાઈના ધર્મપત્ની શ્રીમતી લલિતાબેન, પુત્રીઓ સોનલબેન અને રેખાબેન તથા પુત્ર ઉત્તમભાઈ સાથે વ્યક્તિગત મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, અંગદાન એ માત્ર દાન નથી, પરંતુ કોઈના અંધકારમય જીવનમાં ફરીથી આશાનો દીવો પ્રગટાવવાની મહાન માનવસેવા છે. શોકની ક્ષણમાં પણ બીજાનો જીવ બચાવવાનો આ પરિવારે જે નિર્ણય લીધો છે તે અસંખ્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનશે. તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકાર રાજ્યમાં અંગદાન અંગે વ્યાપક જનજાગૃતિ લાવવા માટે સતત કટિબદ્ધ છે.
સિવિલ પરિવાર દ્વારા પરિવારનો આભાર વ્યક્ત કરાયો
નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પારૂલબેન વડગામા, RMO ડૉ. કેતનભાઈ નાયક, નોડલ ઓફિસર ડૉ. નિલેશભાઈ કાછડીયા સહિત નર્સિંગ સ્ટાફ, તબીબો, સિક્યોરિટી અને સફાઈ કર્મચારીઓએ ભલાભાઈના પરિવારના આ નિર્ણયને બિરદાવ્યો હતો. હોસ્પિટલ તબીબોના જણાવ્યા મુજબ, 100મા કેડેવર ડોનર સુધીની આ સફર માત્ર એક આંકડો નથી પરંતુ સો પરિવારના સમર્પણ અને હોસ્પિટલ સ્ટાફની અથાક મહેનતનું પરિણામ છે.
