Skip to main content
Settings Settings for Dark

પાટણના સંડેરમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ખોડલધામ સંકુલનું ભૂમિપૂજન

Live TV

X
  • સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના ખોડલધામ સંકુલની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડ ખોડલધામ નિર્માણ બાદ ગુજરાતના ઉતર ગુજરાત ઝોનમાં પાટણના સંડેર મુકામે 50વીઘા જમીનમાં અંદાજિત રૂપિયા 100 કરોડના નવનિર્માણ પામનાર ખોડલધામનું ભૂમિપૂજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ. ભૂમિપૂજન કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

    ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આંનદીબહેન પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતુ કે, સંડેર ખાતે ભવ્ય ખોડલધામ મંદિર બનવા જઈ રહ્યું છે. જ્યાં ભવિષ્યમાં કૌશલ્યનું નિર્માણ થશે,  યુવાઓને પ્રેરણા સાથે રોજગાર મળી રહે તેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. સમગ્ર સમાજના વિકાસ માટે ખોડલધામ માર્ગદર્શન પૂરું પાડશે. આ માટે નરેશભાઈ અને તેમની ટીમને ધન્યવાદ આપું છું. સામાન્ય રીતે મંદિરનું નિર્માણ દર્શન, પૂજા અર્ચના અને ભક્તિમાં તરબોળ થવા માટે હોય છે. પરંતુ  મંદિર ચેતનાનું કેન્દ્ર પણ બનવું જોઈએ જ્યાં સમસ્યાઓનું સમાધાન થાય. આ કાર્ય કરવા બદલ ખોડલધામ ટ્રસ્ટની ટીમને અભિનંદન પાઠવું છુ.

    રાજ્યપાલ આંનદીબહેન પટેલે સૌને સૂચન કરતા કહ્યું કે, દીકરીઓ અને માતાઓના સ્વાસ્થ્યની વિશેષ ચિંતા કરી તેઓ સ્વસ્થ રહે અને કેન્સર જેવી બીમારીઓથી મુક્ત રહે એવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. તેઓએ ઉમેર્યું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2024 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું છે એમાં પણ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોએ સક્રિય ભૂમિકા ભજવવાની છે. તેઓએ સ્વયંસેવકોને જણાવ્યું હતું કે અનેક લોકો સરકારી યોજનાઓથી ગરીબી મુક્ત થયા છે તેથી મહત્તમ લોકો સુધી સરકારી યોજનાના લાભ પહોચાડવા જોઈએ.ખોડલધામના નિર્માણ માટે દાન આપનાર સૌ દાતાઓને તેઓએ અભિનંદન આપ્યા હતા. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રીનાં પાવન પ્રસંગની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતુ કે, આજે  દુર્ગાષ્ટમીના પાવન પ્રસંગે પવિત્ર તીર્થધામ ખોડલધામના આંગણે આવીને દિવ્યતાની સાથે ગૌરવની લાગણી અનુભવું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સશક્ત નેતૃત્વનાં પરિણામે દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો નવો અધ્યાય શરૂ થયો છે. આજે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે. ઉજૈન મહાકાલ મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથધામના વિકાસ સાથે અનેક આસ્થાના કેન્દ્રો નવા રંગરુપ પામી રહ્યાં છે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી જ્યોતિર્લિંગ સોમનાથનો પણ સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે.  રાજય સરકાર દ્વારા દ્વારિકા કોરિડોરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ખોડલધામ સંકુલે વસુધૈવ કુટુંબકમની ભાવના સાકાર કરવાનું કાર્ય કર્યું છે. ખોડલધામની સેવા પ્રવૃત્તિનો લાભ તમામ સમાજને પહોંચાડી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખોડલધામ સંકુલ આધ્યાત્મિકતા સાથે આધુનિકતાનું કેન્દ્ર બનશે. અહીં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, કૃષિ સંશોધન કેન્દ્ર, યુવાનો માટે લાઇબ્રેરી - હોસ્ટેલ જેવી સુવિધાઓ તથા નાગરિકો માટે સરકારી યોજનાના સહાય કેન્દ્ર પણ બનશે.

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સનાતન વિચારધારાના વાહક એવા મંદિરો સમાજમાં સદાચાર અને માનવતાના મૂલ્યોને પ્રસરાવે આવે છે. સનાતન પરંપરાના મંદિરો ઉપાસના અને ભક્તિના સ્થાનક છે.  સાથે સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સમાજ ચેતનાના જીવંત કેન્દ્રો પણ છે. ખોડલધામ મંદિર અને ટ્રસ્ટ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. બહુવિધ પ્રવૃત્તિઓ અને સેવા કાર્યોની સાથે સાથે પરફેક્ટ મેનેજમેન્ટ તેમજ આગવા વિઝનના પરિણામે ખોડલધામની ખ્યાતિ અને સુવાસ ચારેકોર પ્રસરી છે. રાજ્ય સરકારે પણ પાટણ જિલ્લાના તીર્થસ્થાનો માટે વિશેષ ગ્રાન્ટ ફાળવી છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજની વાત કરતા જણાવ્યું કે પાટીદાર સમાજ એ પાણીદાર સમાજ છે. જે કણમાંથી પણ મણ પેદા કરવા વાળો  અને પથ્થરમાંથી પાણી કાઢવાની ક્ષમતા ધરાવતો સમાજ છે. પાટીદાર સમાજ આજે શિક્ષણ પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ ધંધા રોજગાર, પંચાયત થી પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે. વિકટ પરિસ્થિતિમાં માર્ગ કાઢવો એ પાટીદારોની વિશેષતા છે. પાટીદારો સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયા છતાં પોતાની માતૃભૂમિનું ઋણ અદા કરવાનું ક્યારેય ભૂલ્યા નથી. 
    પાટીદાર સમાજની સેવા પ્રવૃત્તિઓ દેશ અને રાજ્યમાં તમામ સમાજનો સહારો બની છે. પાટીદાર સમાજની સંસ્થાની સેવા પ્રવૃત્તિઓ અન્ય સમાજ માટે પણ પ્રેરણા રૂપ બની છે. જે બદલ તમામને અભિનંદન પાઠવ્યા હતા.

    કાગવડ ખોડલધામ ચેરમેન નરેશ પટેલે સૌને શુભેચ્છા આપતાં જણાવ્યું હતુ કે આજે ફક્ત આનંદનો દિવસ નહી, ઐતિહાસિક દિવસ નહી પરંતુ પાટીદારો માટે ગૌરવનો દિવસ છે. ખોડલધામની સફળતાનાં આપ સૌ ભાગીદાર છો. ખોડલધામની આ સફળતામાં મહાનુભાવોનો સિંહફાળો છે. તેઓએ કહ્યું કે રાણકી વાવ પછી પાટણમાં ખોડલધામ પ્રવાસનનું કેન્દ્ર બનશે. 

    પુર્વ કેબિનેટ મંત્રી પ્રફુલ પટેલએ સૌને નવરાત્રીનાં શુભ દિવસોની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે, સમાજને એક કરવાની ભાવના સાથે  અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે ખોડધામનાં ટ્રસ્ટનાં માધ્યમથી શરૂઆત થઈ છે. અત્યારે આ બીજા ખોડલધામનું નિર્માણ થવા જઇ રહ્યુ છે જે આપણા સૌ માટે ગૌરવ લેવાની વાત છે. સમાજે એક વિચારથી રાજયહિત, રાષ્ટ્રહિત માટે કામ કરવું જોઈએ. દેશની પ્રગતિમાં લેઉવા પાટીદાર સમાજની મુખ્ય ભૂમિકા હોવી જોઈએ.

    આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સમાજ કઈ રીતે આગળ  વધે તે  માટે  વર્ષો પહેલા બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે કોઈ પણ સમાજની પ્રગતિ તેના સંગઠન પર રહેલી છે. જેથી તમે સંગઠન શક્તિ વધુ મજબૂત બનાવજો. સાથે સમાજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું જરૂરી છે. સમાજ સંગઠીત બની શિક્ષણ મેળવી અને સમાજના વિકાસ માટે સંઘર્ષ માટે પણ તૈયાર રહેવું પડે છે. સમાજ  આગળ વધે પ્રગતિ થાય. કૃષિ મંત્રીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારમાં સર્વાંગી વિકાસના કામો થઈ રહ્યા છે તેમનો લાભ લેવા અપીલ કરી હતી.

    આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે, ગુજરાતનું સુકાન સંભાળનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળમાં ગુજરાત વિકાસ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. સનાતન ધર્મની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ  રાજ્યમાં થઈ રહી છે. આજે નવરાત્રિના પાવન પર્વમાં નોરતે સંડેર ખાતે ખોડલધામનું ભૂમિપૂજન થયું છે. આ ખોડલધામ  યાત્રાધામ તરીકે વિકાસ પામશે, યુવાઓને રાહ બતાવશે. ગુજરાતને રાહ બતાવવામાં પાટીદાર સમાજનો બહુ મોટો ફાળો રહેલો  છે. સમાજના ડીએનએમાં સેવાકીય પ્રવૃત્તિઓ રહેલી છે. જે સેવાકીય પ્રવૃતિઓ રાજ્યની ધરોહર બનેલી છે. આપણે આવનાર પેઢી માટે પણ ધાર્મિક ધરોહરનું નિર્માણ કરવું જોઈએ. ખોડલધામ આરોગ્ય અને શિક્ષણનું ધામ બની રહેશે. 

    ખોડલધા ના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લેવા માટે પાટીદાર સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પાટીદાર ભાઈ-બહેનો માતાજીના રથ અને ગરબીઓ સાથે બાલીસણાથી સંડેર સુધી વાજતે ગજતે પદયાત્રા કરીને સમારોહ સ્થળ ખાતે પહોચ્યા હતા. કાર્યક્રમમાં તમામ દાતાઓનું ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ. ખોડલધામના ભૂમિ પૂજન સમારોહ દરમિયાન મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં  યુવા ભાઈ બહેનો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી એકતા શક્તિ અને ભક્તિના સમન્વય સાથે માનવતાના આ મહાયજ્ઞમાં સહભાગી થયાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply