પૌરાણિક કૃષ્ણ નગરી દ્વારકામાં સંસ્કૃતિ અને સમૃદ્ધિનો સુભગ સમન્વય, આજની પેઢી નવા ભારતનું નિર્માણ થતું જોઇ રહી છે: પ્રધાનમંત્રી
Live TV
-
સુદર્શન સેતુ ઓખા અને બેટ દ્વારકા દ્વીપને જોડવાની સાથે દ્વારકાધીશના દર્શનને વધુ આસાન બનાવશે અને તેની દિવ્યતાને ચારચાંદ લગાવશે: PM
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, આજની પેઢી નવા ભારતનું નિર્માણ થતું જોઇ રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલા મેગા પ્રોજેક્ટને કારણે નવા ભારતની નવી તસવીર બની છે. ભારતે આધુનિક કનેક્ટિવિટીથી સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્ર નિર્માણનો માર્ગ કંડાર્યો છે. જેનો સકારાત્મક પ્રભાવ દેશ અને ગુજરાતના પ્રવાસન ઉપર પડ્યો છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, દેશમાં આધુનિક સુવિધાઓ ઉભી થતાં વિદેશી પર્યટકોની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ થઇ રહી છે. વર્ષ ૨૦૨૨ દરમિયાન ૮૫ લાખ વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત લીધી હતી. તેમાંથી એકલા ગુજરાતમાં જ ૧૫.૫ લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ઇ-વિઝા ઉપરાંત પ્રવાસન સ્થળો સાથેની વધેલી કનેક્ટિવિટી અને સુવિધાઓને કારણે દેશના પર્યટન સ્થળોનું વિદેશમાં આકર્ષણ વધ્યું છે. જેના કારણે ગુજરાતમાં રોજગાર અને સ્વરોજગારના અવસરો વધ્યા છે.
પૌરાણિક નગરી દ્વારકા ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓને રૂ. ૪૧૦૦ કરોડના વિવિધ ૧૧ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ કામોમાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વડાપ્રધાનશ્રી સાથે જોડાયા હતા.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સુદર્શન સેતુ ઓખા અને બેટ દ્વારકા દ્વીપને જોડવાની સાથે દ્વારકાધીશના દર્શનને વધુ આસાન બનાવશે અને તેની દિવ્યતાને ચારચાંદ લગાવશે. જે ઇશ્વરરૂપી જનતા જનાર્દનના સેવક મોદીની ગેરેંટી છે. સુદર્શન સેતુ માત્ર સુવિધા નથી, પરંતુ ઇજનેરી કૌશલ્યનું અદ્દભૂત ઉદાહરણ છે, તેમ જણાવતા પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું કે, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓેએ સુદર્શન સેતુનું અધ્યયન કરવું જોઇએ. આ સુદર્શન સેતુ, સુ-દર્શન છે. સુદર્શન સેતુ ભારતનો સૌથી લાંબો કેબલ આધારિત પૂલ છે. સુદર્શન સેતુના કારણે ઓખા ફરીથી દુનિયાના નકશામાં ચમકશે.
ઓખાના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, એક સમયે ઓખા વેપારી બંદર તરીકે વિખ્યાત હતું. ઓખાની એટલી શાખ હતી કે અહીં મોકલવામાં આવતી વસ્તુઓ ઉત્તમ ગુણવત્તાવાળી માનવામાં આવતી હતી. રશિયાના અસ્ટ્રાખાન પ્રાંતમાં આજે પણ સારામાં સારા સ્ટોર કે મોલના નામ આગળ ઓખા લગાડવામાં આવે છે. ત્યાં ઓખા એટલે ઉત્તમ ગુણવત્તા.
પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે, બેટ દ્વારકાના લોકો, શ્રદ્ધાળુંઓ ફેરી બેટ ઉપર નિર્ભર હતા, આ સમસ્યાના નિવારણ માટે અહીં એક પૂલ બનાવવા માટે જે તે સમયે કેન્દ્ર સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં, કામ કરવામાં આવતું નહોતું. પણ, ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન સેતુનું નિર્માણ કરવાનું મારા ભાગ્યમાં લખ્યું હતું. જે પરમાત્માના આદેશનું પાલન કરી એ દાયિત્વને મે નીભાવ્યું છે. તેમણે સુદર્શન સેતુની વિશેષતાઓની વિસ્તુત માહિતી આપી હતી.
ભૂતકાળના શાસકોને આડેહાથ લેતા શ્રી મોદીએ જણાવ્યું કે, તેમણે માત્ર સત્તા બચાવવા માટે જ શાસન કર્યું હતું. દેશનું હિત વિચારવાના બદલે તેમણે માત્ર એક જ પરિવારને આગળ વધારવાનું કામ કર્યું છે. નાગરિકોની સુવિધા વધારવા માટે તેમની નિયત અને નિષ્ઠામાં ખોટ હતી. ભૂતકાળના શાસકો દ્વારા માત્ર ગોટાળા જ કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ ઉમેર્યું કે, દેશમાં ટેલીકોમની વિકાસ કરવાની વાત હતી ત્યાં ટુજી કૌભાંડ, રમતગમતના વિકાસને બદલે કોમન વેલ્થ કૌભાંડ, રક્ષાક્ષેત્રમાં હેલીકોપ્ટર અને સબમરિન કૌભાંડ કરી ભૂતકાળના શાસકો દ્વારા દેશની જરૂરિયાતો સાથે વિશ્વાસઘાત કર્યો છે.2014માં જ્યારે શાસનધૂરા સંભાળી ત્યારે વાયદો કર્યો હતો કે હું દેશને લૂંટવા નહીં દઉં, તેમ જણાવતા તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી આર્થિક સત્તા બનવા સાથે નવ્ય-ભવ્ય કાર્યો થઇ રહ્યા છે. દેશમાં થઇ રહેલા આઇકોનિક મેગા પ્રોજેક્ટનો સગૌરવ ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, દેશની ચારેય દિશામાં વિકાસ કામો થઇ રહ્યા છે અને તેનો લાભ નાગરિકોને મળી રહ્યો છે.
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રોના વિકાસની ભૂમિકા આપતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા, અંબાજી જેવા તીર્થ સ્થાનોમાં પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હેરિટેજ સિટી અમદાવાદ, રાણીની વાવ, ચાંપાનેર, ધોળાવીરાને વર્લ્ડનો દરજ્જો પ્રાપ્ત થયો છે, તો કચ્છના ધોરડોને યુનેસ્કોએ શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન સ્થળનો દરજ્જો આપ્યો છે. દ્વારકા નજીક શિવરાજપૂર બિચને પણ બ્લ્યુ ટેગ મળતા વિકાસ કરવામાં આવી રહ્યો છે. રણોત્સવ, નડાબેટ, ગીર અભયારણ્ય, ગિરનાર, એસઓયુ, લોથલ જેવા સ્થળો ભરપૂર વિકસ્યા છે. અમારી સરકાર દ્વારા ‘‘વિકાસ ભી, વિરાસત ભી’’ ના મંત્ર સાથે આસ્થાના કેન્દ્રોનું સંવર્ધન થઇ રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં એક સમયની પાણીની અછતને યાદ કરાવતા પ્રધાનમંત્રી મોદીએ સૌની યોજના વિશે કહ્યું કે, આ યોજના થકી મા નર્મદાના જળથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિંચાઇ તથા પીવાનું પાણી પહોંચ્યું છે. તેના કારણે ખેડૂતો, પશુપાલકો, સાગરખેડૂઓ આર્થિક રીતે સંપન્ન થયા છે. સૌરાષ્ટ્રની ધરતી સંકલ્પથી સિદ્ધિની પ્રેરણા આપે છે, તેમ જણાવતા મોદીએ એમ પણ ઉમેર્યું કે, સૌરાષ્ટ્ર અને ગુજરાત સમૃદ્ધિના શીખરે પહોંચશે. વિકસિત સૌરાષ્ટ્ર થકી, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનશે.
પ્રધાનમંત્રીએ આ તકે દ્વારકા તીર્થ સ્થાને યાત્રાળુઓના મનમાં વસી જાય એવું સ્વચ્છ રાખવા માટે સ્થાનિકોને આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, કૃષ્ણભૂમિ દ્વારકાને મળેલી ઓખા – બેટ દ્વારકા સુદર્શન સેતુ આપણી હજારો વર્ષ જૂની વિરાસતને આધુનિક વિકાસ સાથે જોડનારી ભેટ બની રહેશે. વિકાસના નિતનવા કીર્તિમાન સાથે ભારતીય પ્રાચીન વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને ‘‘વિકાસ ભી, વિરાસત ભી’’ ના મંત્ર સાથે બહુમુખી વિકાસની આગવી પેટર્ન પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિકસી છે.
પ્રધાનમંત્રીના વડપણ નીચે દેશમાં શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામો અને સાંસ્કૃતિક ધરોહરોના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો યુગ શરૂ થયો છે, તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાથી આપણી સદીઓની પ્રતીક્ષા પ્રધાનમંત્રીએ પૂર્ણ કરી છે. એટલુ નહીં, મહાકાલધામ, કેદારનાથ, કાશિ વિશ્વનાથ જેવા પવિત્ર યાત્રાધામોના અદ્યતન સુવિધાઓ કારણે યાત્રા વધુ સરળ બની છે.