પ્રધાનમંત્રીએ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે 36મા નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
2 ઓક્ટોબર સુધી ચાલનારા આ રાષ્ટ્રીય રમતોસ્વમાં 36 રાજ્યોમાંથી 7 હજારથી વધુ ખેલાડીઓ, 15 હજારથી વધુ પ્રતિસ્પર્ધકો ભાગ લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે 36મા નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે પ્રધાનમંત્રીએ વડોદરાના દેસર સ્થિત વિશ્વસ્તરીય ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું પણ વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યુ હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રમત ગમતમંત્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના રમત ગમતમંત્રી હર્ષ સંઘવી, ઓલિમ્પિક વિનર નીરજ ચોપરા તેમજ ટેનિસ શટલર પી.વી. સિદ્ધુ ઉપસ્થિત રહ્યા હતા. 12 ઓક્ટોબર સુધી ચાલનારા આ રાષ્ટ્રીય રમતોસ્વમાં 36 રાજ્યોમાંથી 7 હજારથી વધુ ખેલાડીઓ, 15 હજારથી વધુ પ્રતિસ્પર્ધકો ભાગ લેશે. તો આ ભવ્ય કાર્યક્રમને નિહાળવા લાખોની સંખ્યામાં જનમેદનીથી સ્ટેડિયમ ખીચોખીચ ભરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં પહેલી વખત રાષ્ટ્રીય રમતોનું આયોજન થઈ રહ્યું છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, સુરત , વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ રમતોત્સવનો પ્રારંભ કરાવતા કહ્યું હતું કે, આ દ્રશ્ય આ માહોલ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. એક તરફ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, યુવા દેશ છે અને સૌથી મોટો ખેલ મહોત્સવ છે. તો પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, આયોજન જ જેનું અદ્વિતીય હોય તેની ઉર્જા અદભૂત હોય જ. પ્રધાનમંત્રીએ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ ગેમ્સના પ્રતિકરૂપી ગીરના સાવજનો યાદ કર્યો હતો. તો ખેલાડીઓને જણાવ્યું હતું કે, આ નેશનલ ગેમ્સ નવા લોન્ચિંગ પેડનું કામ કરશે. 2014થી આપણા ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે તેવો પણ ઉલ્લેખ પોતાના સંબોધનમાં કર્યો હતો. રમત આપણી વિરાસત અને વિકાસ યાત્રાનું માધ્યમ રહી હોવાની પણ વાત કરી હતી. રમતોત્સવમાં પ્રધાનમંત્રીએ ખેલાડીઓને કહ્યું હતું કે, જ્યારથી તમે કોઈપણ કામની શરૂઆત કરી ત્યારથી સમજવું કે સફળતાની શરૂઆત થઈ ચૂકી છે. તો ભારતની દીકરીઓ તિરંગાની શાન વધારી રહી હોવાની પણ તેમણે પોતાના સંબોધનમાં વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ખેલાડીઓને મંત્ર આપતા જણાવ્યું હતું કે, કોઇપણ સ્પર્ધાને જીતવા માટે સમર્પણ અને સાતત્ય જરૂરી છે.
