Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ’નું કર્યું ઉદ્ઘાટન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ કોન્ક્લેવનું આયોજન સબકા પ્રયાસનું સ્પષ્ટ ઉદાહરણ છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે “21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન એ ઊર્જા સમાન છે, જે દરેક ક્ષેત્રના વિકાસ અને દરેક રાજ્યના વિકાસને વેગ આપવાની શક્તિ ધરાવે છે. આજે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના વિજ્ઞાન અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં વહીવટ અને નીતિ નિર્માણમાં લોકોની જવાબદારી નોંધપાત્ર રીતે વધી જાય છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિજ્ઞાન એ ઉકેલો, ઉત્ક્રાંતિ અને નવીનતાનો આધાર છે. અને, આ પ્રેરણાથી જ, આજનો નવો ભારત જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન તેમજ જય અનુસંધાન સાથે આગળ વધી રહ્યો છે.

    ઈતિહાસમાંથી આપણે જે પાઠ શીખી શકીએ છીએ તે કેન્દ્ર અને રાજ્યો બંનેને મદદરૂપ થશે તેના પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જો આપણે છેલ્લી સદીના શરૂઆતના દાયકાઓને યાદ કરીએ, તો આપણને ખબર પડે છે કે વિશ્વ કેવી રીતે વિનાશ અને દુર્ઘટનાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ તે યુગમાં પણ, પૂર્વ હોય કે પશ્ચિમ, દરેક જગ્યાએ વૈજ્ઞાનિકો તેમની મહાન શોધમાં વ્યસ્ત હતા. પશ્ચિમમાં આઈન્સ્ટાઈન, ફર્મી, મેક્સ પ્લાન્ક, નીલ્સ બોહર અને ટેસ્લા જેવા વૈજ્ઞાનિકો પોતાના પ્રયોગોથી દુનિયાને ચમકાવી રહ્યા હતા. તે જ સમયગાળામાં, સીવી રામન, જગદીશ ચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ, મેઘનાદ સાહા અને એસ ચંદ્રશેખર સહિત ઘણા વૈજ્ઞાનિકો તેમની નવી શોધો સામે લાવી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના તફાવતને રેખાંકિત કર્યો કારણ કે આપણે આપણા વૈજ્ઞાનિકોના કાર્યને યોગ્ય માન્યતા આપી રહ્યા નથી. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે જ્યારે આપણે આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ, ત્યારે વિજ્ઞાન આપણા સમાજનો ભાગ બની જાય છે, તે સંસ્કૃતિનો ભાગ બની જાય છે. શ્રી મોદીએ દરેકને આપણા દેશના વૈજ્ઞાનિકોની સિદ્ધિઓની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, " વૈજ્ઞાનિકો દેશને તેમની ઉજવણી કરવા માટે પૂરતા કારણો આપી રહ્યા છે." તેમણે કોરોના રસી વિકસાવવામાં અને વિશ્વની સૌથી મોટી રસી અભિયાનમાં યોગદાન આપવા માટે ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાની પ્રશંસા કરી.

    પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે સરકાર વિજ્ઞાન આધારિત વિકાસની વિચારસરણી સાથે કામ કરી રહી છે. “2014થી, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારના પ્રયાસોને કારણે આજે ભારત વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સમાં 46મા ક્રમે છે, જ્યારે 2015માં ભારત 81મા ક્રમે હતું,” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. તેમણે દેશમાં વિક્રમજનક સંખ્યામાં પેટન્ટ રજીસ્ટર થયાનો સ્વીકાર કર્યો હતો. તેમણે ઈનોવેશનના વાતાવરણ અને વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમની પણ નોંધ લીધી.

    પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે “વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતા તરફનો ઝોક આપણી યુવા પેઢીના ડીએનએમાં છે. આપણે આ યુવા પેઢીને પૂરી તાકાતથી ટેકો આપવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ યુવાનોની નવીન ભાવનાને ટેકો આપવા માટે સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં નવા ક્ષેત્રો અને મિશનોની યાદી આપી હતી. તેમણે સ્પેસ મિશન, નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન, સેમિકન્ડક્ટર મિશન, મિશન હાઈડ્રોજન અને ડ્રોન ટેક્નોલોજીના ઉદાહરણો આપ્યા. તેવી જ રીતે, NEP માતૃભાષામાં વિજ્ઞાન અને તકનીકી શિક્ષણ આપીને આને પ્રોત્સાહન આપી રહ્યું છે.

    પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અમૃતકાળમાં ભારતને સંશોધન અને નવીનતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે આપણે એકસાથે અનેક મોરચે કામ કરવું પડશે. તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત સંશોધનને સ્થાનિક સ્તરે લઈ જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યોને તેમની સ્થાનિક જરૂરિયાતો અનુસાર સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે રાજ્ય સરકારો દ્વારા વધુને વધુ વૈજ્ઞાનિક સંસ્થાઓની રચના અને પ્રક્રિયાઓને સરળ બનાવવા પર ભાર મૂકીને નવીનતાને પ્રોત્સાહિત કરી શકાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પણ ઈનોવેશન લેબની સંખ્યા વધારવી જોઈએ. તેમણે દરેક રાજ્યને વિજ્ઞાન, નવીનતા અને ટેક્નોલોજી અંગે આધુનિક નીતિ ઘડવા પણ કહ્યું હતું. "સરકાર તરીકે, આપણે આપણા વૈજ્ઞાનિકો સાથે વધુને વધુ સહકાર અને સહયોગ કરવો પડશે, આ એક વૈજ્ઞાનિક આધુનિકતાનું વાતાવરણ બનાવશે"

    પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યોએ રાષ્ટ્રીય સ્તરની ઘણી વૈજ્ઞાનિક સંસ્થાઓ અને રાષ્ટ્રીય પ્રયોગશાળાઓની ક્ષમતા અને કુશળતાનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ. "આપણે વૈજ્ઞાનિક સંસ્થાઓ અને કુશળતાના મહત્તમ ઉપયોગ માટે આપણી વિજ્ઞાન-સંબંધિત સંસ્થાઓને સિલોસની સ્થિતિમાંથી બહાર લઈ જવી પડશે", પ્રધાનમંત્રીએ ઉમેર્યું. તેમણે પાયાના સ્તરે વિજ્ઞાન પ્રમોશન ઇવેન્ટ્સ માટે કહ્યું. તેમણે રાજ્યના વિજ્ઞાન મંત્રીઓને તેમના વિજ્ઞાન અભ્યાસક્રમના સારા વ્યવહારો અને પાસાઓ શેર કરવાની સલાહ પણ આપી હતી.

    સંબોધનના સમાપનમાં, પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ‘સ્ટેટ-સેન્ટર સાયન્સ કોન્ક્લેવ’ દેશમાં વિજ્ઞાનની પ્રગતિ તરફ એક નવું પરિમાણ ઉમેરશે અને સંકલ્પ કરશે. પ્રધાનમંત્રીએ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કોઈ પણ તકને હાથમાંથી છૂટવા ન દેવા સૌને વિનંતી કરી હતી. "આવતા 25 વર્ષ ભારત માટે સૌથી મહત્વપૂર્ણ વર્ષ છે કારણ કે તે આવનારા ભારતની નવી ઓળખ અને તાકાત નક્કી કરશે",એમ પ્રધાનમંત્રીએ કહ્યું. પ્રધાનમંત્રીએ સહભાગીઓને આ સંમેલનમાંથી શીખવા માટે તેમના રાજ્યોમાં લઈ જવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા વિનંતી પણ કરી હતી.

    આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply