પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસે સરકારી યોજનાઓ વિશે માહિતી આપતી રંગોળી સ્પર્ધા યોજાઈ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા ચિલ્ડ્રન્સ પાર્કમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું કે, આજે લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે ગુજરાતમાં ચારે દિશાઓમાં સરકાર કે રાજકીય પક્ષના કાર્યકર્તાઓમાં જ નહીં પરંતુ સૌ સામાજિક સંસ્થાઓમાં પણ એક ખુશીની લાગણી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જ એવા નેતા છે જે પોતાના જન્મદિવસ નિમિત્તે મોટા મોટા હાર કે કેકથી દૂર રહીને સમાજસેવાના કાર્યોમાં જોડાઈ લોકો સુધી પહોંચી, લોકોનું ભલું કરવાનું કામ કરે છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તથા યુવાન કાર્યકર્તાઓના પ્રયત્નોથી સમાજમાં સૌને સાથે રાખીને આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના 72 કલાક પહેલા આ રંગોળી સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી હતી. તાલુકા પ્રમાણે, નગરપાલિકાના વોર્ડ પ્રમાણે, મહાનગરોમાં પણ વોર્ડ પ્રમાણે એમ 450થી વધારે જગ્યાઓએ 54,000થી વધારે લોકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો છે.
આ રંગોળી સ્પર્ધા સરકારની વિવિધ યોજનાઓ જેમ કે, આયુષ્માન ભારતથી લઈને મેક ઈન ઇન્ડિયા વિષે
યુવાઓ અને અન્યને જાગૃત કરે છે. સરકારની વિવિધ યોજનાઓ આ સ્પર્ધા દ્વારા લોકો સુધી પહોંચે અને તેનો સીધો લાભ જાહેર જનતાને મળે તે માટે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડનો પ્રયત્ન સફળતાપૂર્વક પાર પડ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના માત્ર ત્રણ દિવસ પહેલા જાહેર કરવામાં આવેલી આ રંગોળી સ્પર્ધામાં લોકોનો અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
