પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમની જીવન-કવનને દર્શાવતું ચિત્ર-પ્રદર્શન મુખ્યમંત્રીના વરદ હસ્તે ખુલ્લુ મુકાયુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસે તેમના બાળપણથી લઈને આજદિન સુધીની સફર તેમજ તેમણે આપેલા વિઝનને દર્શાવતું 'ચિત્ર પ્રદર્શન'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મુકાયું. નરેન્દ્રના 'વડનાગરથી વર્લ્ડ લીડર' સુધીની યાત્રાને દર્શાવતા 12 ચિત્રો અને રેડિયો પર પ્રસારિત થતા 'મન કી બાત' કાર્યક્રમના વિવિધ વિષયો પર 32 ચિત્રો અહીં મૂકવામાં આવ્યા છે. જેને નિહાળી મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આનંદ વ્યક્ત કર્યો હતો. મૂળ કર્ણાટકના અને છેલ્લા 30 વર્ષથી દુબઈમાં સ્થાયી થયેલા આર્ટિસ્ટ અકબર સાહેબએ જણાવ્યું હતુ કે, નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને કાર્યોથી પ્રભાવિત થઈને તેમણે તેમની લાગણીને કેનવાસ પર ઉતારી છે. નોટબંધી, ડ્રગ્સ વિરોધી ઝુંબેશ, ખેડૂત કલ્યાણ, પાણી બચાવોનો સંદેશ, ગૌહત્યા અટકાવવા પર કામગીરી, બેટી બચાઓ-બેટી પઢાઓ, ખાદી, આર્મીનું મજબૂતીકરણ, સર્જીકલ અને ઍરસ્ટ્રાઇક, સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જ્વલા યોજના, ડિજિટલ ઇન્ડિયા સહિતના વિવિધ વિષયોની પ્રભાવક પ્રસ્તુતિ આ પ્રદર્શનમાં કરવામાં આવી છે. જેને નિહાળીને મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી અકબરને અભિનંદન પાઠવ્યા હતા. 17થી 23 સપ્ટેમ્બર સુધી અમદાવાદની રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે શહેરીજનો પ્રદર્શનની મુલાકાત લઈ શકશે.
પ્રદર્શનના ઉદ્દઘાટનની વેળાએ સાંસદ કિરીટ સોલંકી, ધારાસભ્ય રાકેશ શાહ, સુરેશ પટેલ, અરવિંદ પટેલ, શહેરના મેયર કિરીટ પરમાર, ડે.મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, મનપાના સત્તાપક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત, સ્ટેન્ડિંગ ચેરમેન અમિત શાહ સહિત આયોજકો અને કલાપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
