ભારતીય પોસ્ટ આ વર્ષે 'ટૂગેધર ફોર ટ્રસ્ટ' થીમ હેઠળ નેશનલ પોસ્ટલ વીક ઉજવશે
Live TV
-
નવમી ઓક્ટોબરના રોજ વિશ્વ ટપાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભારતીય પોસ્ટ આ વર્ષે "ટૂગેધર ફોર ટ્રસ્ટ" થીમ હેઠળ નેશનલ પોસ્ટલ વીકની ઉજવણી કરે છે. રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ દરમિયાન વિવિધ દિવસોનું આયોજન કરવામાં આવે છે જેમ કે વિત્તિયા સશક્તિકરણ દિવસ, ફિલાટેલી દિવસ, મેઈલ્સ અને પાર્સલ દિવસ અને અંત્યોદય દિવસ. જેમાં ટપાલ લઈ જનાર પોસ્ટમેન અને સ્ટાફને તેમના ઉમદા કાર્ય બદલ ફૂલ અને ચોકલેટ આપી સન્માનિત કરવામાં આવશે. મોચી અને શેરી વિક્રેતાઓને છત્રીઓનું વિતરણ પણ કરવામાં આવશે. આ પ્રસંગે પોસ્ટ વિભાગ દ્વારા વિશેષ જાહેરાતો પણ કરવામાં આવી છે.
અમદાવાદ અને વડોદરાના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર મુસાફરો માટે તેમના વધારાનો સામાન ખૂબ જ નજીવા દરે ઘરે મોકલવા માટે પાર્સલ સેવા શરૂ કરાશે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર મેઈલ ટ્રાન્સમિશન ઓફિસ પણ મેલના ઝડપી અને સુરક્ષિત ટ્રાન્સમિશન માટે પાઈપલાઈનમાં છે. જે અંતર્ગત અમદાવાદમાં ખાનપુર ખાતે આવેલ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ નીરજ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમદાવાદ, વડોદરા, રાજકોટ એરપોર્ટ પરથી પણ પોસ્ટ વિભાગના બુકિંગ કાઉન્ટર્સ શરૂ કરવામાં આવશે. જેથી એકસ્ટ્રા લગેજ લઈ જવામાં મુસાફરોને અનુકૂળતા રહેશે. ગુજરાત ટપાલ વર્તુળ રાજ્યની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોમાં ડાક અંત્યોદય કેન્દ્રો શરૂ કરી રહ્યું છે.
DBT યોજનાના લાભાર્થીઓ આ કાઉન્ટર્સ પર કોઈપણ આધાર-લિંક્ડ બેંક ખાતામાંથી ગંગા સ્વરૂપા નાણાકીય સહાય, મનરેગા, PM કિસાન વગેરે જેવી યોજનાઓ દ્વારા નાણા ઉપાડી શકે છે. આ વર્ષે 1,583 ઉમેદવારોને નવી રોજગારી આપવામાં આવી છે. લગભગ 1,280 વધુ સ્ટાફ ટૂંક સમયમાં જ વર્કફોર્સમાં જોડાશે. પાર્સલ હેલ્પલાઈન નંબર "85117-60606" વોટ્સએપ સુવિધા સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ અને ગ્રાહકોની સહાયતા માટે ઉપલબ્ધ કરાવ્યું છે.
