ભારત-બાંગ્લાદેશ દરિયાઈ સહયોગ મજબૂત કરવા ભારતીય જહાજ ‘સાગર’ પહોંચ્યુ ચટગાંવ
Live TV
-
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતી જતી દરિયાઈ ભાગીદારીના પ્રતીક રૂપે ભારતીય નૌકાદળનું જહાજ 'આઈઓએસ (IOS) સાગર' બંગાળની ખાડી પસાર કરીને શુક્રવારે દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશના વ્યૂહાત્મક ચટગાંવ બંદર પર પહોંચ્યું હતું.
બાંગ્લાદેશી જળસીમામાં બાંગ્લાદેશી નૌકાદળના જહાજ 'બીએનએસ અલી હૈદર' (F17) દ્વારા ભારતીય જહાજનું ભવ્ય સ્વાગત કરી તેને બંદર સુધી એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું.બાંગ્લાદેશમાં ભારતીય હાઈકમિશનના જણાવ્યા અનુસાર, આ મુલાકાત 'આઈઓએસ સાગર 2026' બહુરાષ્ટ્રીય અભિયાનનો એક ભાગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અને પ્રાદેશિક સંકલનને મજબૂત કરવાનો છે.આ મુલાકાત દરમિયાન આઈઓએસ સાગરના કમાન્ડિંગ ઓફિસર બાંગ્લાદેશ નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ, કમાન્ડર ચટ્ટૌગ્રામ નેવલ એરિયા અને નેવલ ફ્લીટના કમાન્ડરો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે. આ ઉપરાંત, ભારતીય પ્રતિનિધિ મંડળ ચટગાંવ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સાથે દરિયાઈ લોજિસ્ટિક્સ અને પોર્ટ સુરક્ષા અંગે ચર્ચા કરશે.
બંને દેશોના નૌકાદળના જવાનો એકબીજાના જહાજોની મુલાકાત લઈને વ્યાવસાયિક અનુભવોની આપ-લે પણ કરશે.આ પ્રવાસમાં વિવિધ સામાજિક અને સ્મારક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચટગાંવ કોમનવેલ્થ વોર સિમેટ્રી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી વહેંચાયેલા ઇતિહાસ અને બલિદાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.ભારતીય હાઈકમિશને જણાવ્યું હતું કે, ચટગાંવમાં ભારતીય જહાજની હાજરી એ ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' (પાડોશી પ્રથમ) નીતિ અને 'સાગર' (સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન) પહેલનું જીવંત ઉદાહરણ છે. આ મુલાકાત હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
