ભાવનગરના લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ
Live TV
-
એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) દ્વારા વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા તા. સિહોર, જિ. ભાવનગર ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યશાળાનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કાર્યશાળામાં વિષય નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક કૃષિના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો, તેના ફાયદા અને મહત્વ, બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ, માનવ જીવનમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિશે કાર્યશાળા યોજવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા સફળ ખેડૂતોના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતન ઉપપ્રમુખ સુજાનસિંહ ગોહિલ અને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ નિયામક ડૉ. અરુણ દવે એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિષે માર્ગદર્શન મહેન્દ્ર કવાડ (માસ્ટર ટ્રેનર કમ રિસોર્સ પર્સન), પ્રાકૃતિક કૃષિના ફાયદા, મહત્વ અને ખેત બચાવો અંગે માર્ગદર્શન જે. એન. પરમાર (પ્રોજેક્ટ ડિરેક્ટર, આત્મા) એ આપ્યું હતું. બાગાયતી યોજનાઓ અને બાગાયતી પાકમાં પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન એમ. બી. વાઘમશી (નાયબ બાગાયત નિયામક) આપ્યુ હતું. વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કે.વી.કે.ના વડા ડૉ. નિગમ શુક્લા એ પ્રાકૃતિક કૃષિનું માનવજીવનમાં મહત્વ વિષે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે પ્રાકૃતિક કૃષિ અપનાવનાર ખેડૂતોએ પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા તેમજ કાર્યક્રમ બાદ મહાનુભાવોએ કૃષિ સ્ટોલની મુલાકાત લીધી હતી.
