મહાત્મા ગાંધીની 154મી જન્મ જયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરના કીર્તિ મંદિરમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી
Live TV
-
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જયંતી છે. દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, તેમના જન્મદિવસના ઉપલક્ષમાં દેશ અને દુનિયામાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જયંતી છે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મ જયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જન્મ સ્થળે પહોંચ્યા હતા અને પોરબંદરના કીર્તિ મંદિરમાં પૂજ્ય બાપુને શ્રદ્ધાપૂર્વક ભાવસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે આયોજીત સર્વધર્મ પ્રાર્થના સભામાં પણ સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી સત્ય, સ્વચ્છતા, સત્યાગ્રહ સહિતના મંત્રોમાં સ્વચ્છતના મંત્રને સર્વોપરી ગણતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂજ્ય બાપુના સ્વચ્છતાના મંત્રને સાકાર કરી કરોડો પરિવારોને શૌચાલયની સુવિધા મળે તે માટે 'સ્વચ્છ ભારત મિશન' સફળ કર્યું છે એમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગને અપનાવી આપણને સૌને કાયમી પ્રેરણા મળતી રહે તેવો સંદેશ આપ્યો છે.
