મહી નદી ઉદ્દ્વહન સિંચાઈ યોજના માટે 794 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી-ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી ગુજરાત સરકાર ‘હર હાથને કામ,હર ખેતને પાણી’ આપવા કટિબદ્ધ છે. મહી નદીની ઉદ્દ્વહન સિંચાઈ યોજનાથી ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકાના 54 ગામના 61, કઠલાલના 20 ગામના 20, ગલતેશ્વરમાં 07 ગામના 08 તેમજ ઠાસરા તાલુકામાં 05 તેવી જ રીતે મહીસાગરના બાલાસિનોર તાલુકાના 40 ગામના 40 એમ બંને જિલ્લાના કુલ 134 તળાવો ભરવામાં આવશે. આ તળાવો ભરવાથી 8,100 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, જેનાથી ખેડૂતો વધુ આર્થિક પગભર બનશે અને ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને વધુ બળ મળશે તેમ, વિધાનસભા ગૃહમાં ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર દ્વારા પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.
મંત્રી પટેલે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, મહી નદીની સિંચાઈ ઉદ્દ્વહન સિંચાઈ યોજના માટે 794 કરોડ રૂ. ની વહીવટી મંજૂરી બાદ તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે. આ યોજનામાં 10 વર્ષની મરામત -નિભામણી કરવાની જોગવાઈ કરી છે. આ માટે 268 કિ.મી.લાંબી પાઇપલાઇન તૈયાર કરવામાં આવશે. જે અંતર્ગત રૈયાલીમાં 40 લાખ અને મુનજીના મુવાડા ખાતે 66 લાખ લિટર પાણીની ક્ષમતા વાળી ટાંકીઓ બનાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ યોજના થકી ત્રણેય તાલુકામાં 1,456 મિલિયન ઘનફૂટના પાણીના જથ્થાનો સંગ્રહ થશે તેનો સીધો લાભ આ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને મળશે તેમ, મંત્રી પટેલે વધુ વિગતો આપતાં ગૃહમાં ઉમેર્યું હતું.
