મહેસુલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ગાડવા ગામે CSR ફંડથી નિર્મિત આંગણવાડી અને ભોજન શેડનું કર્યું લોકાર્પણ
Live TV
-
મહેસૂલ, આપત્તિ અને વ્યવસ્થાપન રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના વરદ હસ્તે મહેમદાવાદ તાલુકાના ગાડવા ગામે નવીન આંગણવાડી અને ભોજન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગાડવા ગામે ગતરોજ ITC કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ અંતર્ગત નિર્માણ પામેલ નવીન આંગણવાડી અને ભોજન શેડનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, "બાળકો દેશનું ભવિષ્ય છે. તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ, યોગ્ય પોષણ અને સાનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. CSR હેઠળ ખાનગી સંસ્થાઓ દ્વારા ગ્રામ વિકાસમાં મળતો સહયોગ ગામડાઓના સર્વાંગી વિકાસને નવી દિશા અને ગતિ પ્રદાન કરી રહ્યો છે. ગાડવા ગામમાં ઉભી થયેલી આ સુવિધાઓ આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે."આ પ્રસંગે," ગ્રામ્ય વિસ્તારના બાળકોને વધુ સારી શૈક્ષણિક અને પોષણલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી નિર્માણ પામેલ આ સુવિધાઓ ગામના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે."એમ પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું.
ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે," ગામના નાનાં બાળકો માટે સુરક્ષિત અને સુવિધાસભર આંગણવાડી તેમજ ભોજન શેડ શિક્ષણ, આરોગ્ય અને પોષણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે."કાર્યક્રમ અંતે ગ્રામજનો અને આંગણવાડીના અધિકારી દ્વારા ITC કંપની અને સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ગૌતમસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ અજયસિંહ ડાભી, જિલ્લા પંચાયત સદસ્ય અજીતસિંહ ડાભી, ITC કંપનીના અધિકારીઓ, ગામના સરપંચ ગોપાલ, આગેવાન વિનુ ડાભી સહિતના મહાનુભાવો બાળકો,આંગણવાડીની બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
