મુખ્યમંત્રીએ 44 રિચાર્જ બોરવેલનું ગાંધીનગરથી લોકાર્પણ કર્યુ,VYOના સહયોગથી બોરવેલ રિચાર્જ કરાયા
Live TV
-
રાજ્યમાં ભુર્ગભ જળ સતત ઊંડા ઉતરી રહ્યા છે ત્યારે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન-VYO દ્વારા રાજ્યમાં નિર્મિત 44 રિચાર્જ બોરવેલનુ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી લોકાર્પણ કર્યુ હતુ. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજીની પ્રેરણાથી VYO એ જળ સંરક્ષણ અભિયાન અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્યનાં ૭૫ ગામોમાં રિચાર્જ બોરવેલનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી જેવા મહત્વપૂર્ણ વિષય સહિત જીવ માત્રની સેવાના ઉદ્દેશ્યથી થતા સમાજ સેવા કાર્યોમાં સરકારના સહયોગની નેમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, પાણી એ વિકાસની પહેલી શરત છે અને ગ્રીન કવર ઘટી જતાં પાણી હવે રોકાઈને જમીનમાં ઉતરતા નથી. આના પરિણામે ભૂગર્ભ જળસ્તર નીચા ગયા છે અને પાણીની સમસ્યા સર્જાઇ છે તેને નિવારવા બોરવેલ રિચાર્જ જરૂરી બન્યા છે. આઝાદીના અમૃત મહોત્સવ અવસરે દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણનો પ્રધાનમંત્રી મોદીએ આપેલો કોલ ગુજરાતે સુપેરે ઝીલી લીધો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પાણી એ કુદરતની અનમોલ ભેટ છે. તેનું સંવર્ધન કરવું તથા પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું એ આપણા ભવિષ્ય માટે આવશ્યક છે. તેમણે ગુજરાતમાં જળ સંચય-જળ સંરક્ષણ અભિયાનથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજીએ આ અભિયાન ગામડાઓમાં ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવીને ખેતી તથા પીવાના પાણી માટે આશીર્વાદ રૂપ બનશે તેવા વિશ્વાસ સાથે આશીર્વચન પાઠવ્યા હતા.
