મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના કર્યા વધામણા
Live TV
-
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે. આ અવસરે એકતાનગર ખાતે નમામી દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે નર્મદા નીરના વધામણા કર્યા. મા નર્મદાના જળને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીફળ ચુંદડીથી વધામણાં કર્યા હતા. સરદાર સરોવર નર્મદા ડેમ 2019 અને 2020 પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે. પાણીની વધુ આવક થતા રાજયના ગામો, નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવો નહીં પડે. આ ઉપરાંત ખેડૂતોને રવી પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પૂરતું પાણી મળશે. હાલ અંદાજે 1 લાખ ક્યુસેક પાણી નર્મદા બંધમાંથી છોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે સરદાર સરોવર યોજના થકી 9 હજાર 104 ગામો, 169 શહેરો, 7 મહાનગરપાલિકાઓની આશરે 4 કરોડની જનતાને નર્મદાનું પાણી મળી રહેશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકક્ષાના મંત્રી જીતુ ચૌધરી, ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
