મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવજીવન સુરક્ષાને સૌથી પહેલી પ્રાથમિકતા આપવા કરી તાકીદ
Live TV
-
માનવ જીવન સુરક્ષા સંદર્ભમાં કોઈ સમાધાન ન હોવું જોઈએ એમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ માટે રૂ. ૨૧૧૧ કરોડના ચેક અર્પણ કરવાનો સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહાનગરપાલિકાઓ અને પાલિકાઓને ચેક અર્પણ કરાયા હતા.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવજીવન સુરક્ષાને સૌથી પહેલી પ્રાથમિકતા આપવા સ્પષ્ટ તાકીદ કરી છે. માનવ જીવન સુરક્ષા સંદર્ભમાં કોઈ સમાધાન ન હોવું જોઈએ એમ પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસની આપણી તેજ રફ્તારમાં વિકાસ જેના માટે છે એ માનવીઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટેની ગ્રાન્ટના કુલ ૨૧૧૧ કરોડ રૂપિયાના ચેક વિતરણ અવસરે સંબોધન કરી રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યની નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં વિકાસના અનેક સારા કામો થયા છે. આમ છતાં, ક્યાંક કોઈ કચાશ કે, ઢીલાશ રહી જાય છે. આ સ્થિતિ નિવારવા માટે પદાધિકારીઓ-અધિકારીઓને આહવાન કરતાં તેમણે કહ્યું કે, વિકાસ કામોની ગુણવત્તા-ક્વોલિટીનું સમયાંતરે મોનિટરિંગ સાથે બેસીને થાય તે જરૂરી છે. એટલું જ નહીં, પ્રજાજનોની નાની-નાની ફરિયાદો પર પણ ધ્યાન આપીને તેનું યોગ્ય અને ત્વરિત નિવારણ થાય તે જ વિકાસની સાચી દિશા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી વડાપ્રધાન નરેન્દ્રભાઈના સુશાસનમાં રહી જ નથી તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, જે નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓ સારાં કામ કરે છે તેને વધુ વિકાસ કામો માટે લોકહિત કામો માટે વધુ નાણાંની જરૂરિયાત હશે તો તે પૂરી કરવા પણ રાજ્ય સરકાર તૈયાર છે. મુખ્યમંત્રીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રને આગળ ધપાવવાની પ્રેરણા આપતા ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજિંદા જનજીવનમાં આપેલા મિશન લાઇફના આપેલા વિચારને સાકાર કરવા માટે ઘનિષ્ઠ વૃક્ષારોપણ નગરોમાં કરવું જરૂરી છે. તેમણે પર્યાવરણ અનુકૂલન વિકાસ સાથે સર્વગ્રાહી વિકાસ દ્વારા ગુજરાતને વિકસિત ભારતના સંકલ્પમાં અગ્રેસર રાખવા પણ આ તકે અનુરોધ કર્યો હતો.
