મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૪ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પુરસ્કાર અર્પણ કર્યા : ૧૧ તેજસ્વી બાળકોને પણ એવોર્ડ એનાયત કરાયા
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષક દિવસે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આયોજિત ગરિમાપૂર્ણ સમારોહમાં ૩૪ શિક્ષકોનું 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પુરસ્કાર'થી સન્માન કર્યું હતું. રાજ્યના ૧૧ શ્રેષ્ઠ-તેજસ્વી વિદ્યાર્થીઓને પણ એવોર્ડ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા તેમજ મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, જીવન નિર્વાહ માટે અનેક વ્યવસાય-વેપાર-ઉદ્યોગ છે, પણ તમામ કર્મોમાં શિક્ષકનું કર્મ અતિ પવિત્ર અને મહત્વનું છે. દાનનું મહત્વ છે પણ વિદ્યાથી મોટું કોઈ દાન નથી. શિક્ષક-ગુરુજન બાળકની દશા અને દિશા બદલી શકે છે. શુક્લ યજુર્વેદના 'શતપથ બ્રાહ્મણ' ગ્રંથનો સંદર્ભ આપતાં તેમણે કહ્યું કે, બાળકના ત્રણ ગુરુ હોય છે; માતા-પિતા અને ગુરુ. 'ગુ' એટલે અંધકાર અને 'રુ' એટલે પ્રકાશ. અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, શિક્ષક-ગુરુ બાળકને બીજો જન્મ આપે છે. વેદોમાં ઉલ્લેખ છે કે, માતા-પિતા પોતાના બાળકના ઉછેર માટે તેને ગુરુજીના સાંનિધ્યમાં સોંપી આવતા હતા. ભારતનો ગુરુ ત્યારે માતા પિતાને આશ્વાસન આપતો કે, 'મા ના ગર્ભમાં બાળક જેટલું સુરક્ષિત અને કાળજીમાં હોય છે, એવી જ સંભાળ હું રાખીશ.' દુનિયામાં એક શિક્ષકનું આનાથી મોટું શ્રેષ્ઠ ચિંતન અન્ય કોઈ ન હોઈ શકે. ભારતના ગુરુઓએ તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા અને વલ્લભી જેવા વિશ્વવિદ્યાલયો આ વિશ્વને આપ્યા છે. ભારત હંમેશા વિશ્વગુરુ રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય પુરસ્કારથી સન્માનિત શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવતા તેમને સ્વર્ણિમ ભારતની આવતીકાલના આર્કિટેક તરીકે નવાજ્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર શાળાઓ બનાવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે, શિક્ષકોની ભરતી કરે, પરંતુ શાળામાં પ્રાણ તો શિક્ષક જ પૂરી શકે છે. નવી શિક્ષણ નીતિના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પોને શિક્ષણના આયુધ તથા શિક્ષકોના પ્રદાન અને વિદ્યાર્થીઓની જ્ઞાન ઉર્જાથી ચરિતાર્થ કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો. તેમણે ગુજરાતે સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ અને જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અન્વયે ૧૬ હજાર ક્લાસરૂમ શરૂ કરીને નવી શિક્ષણ નીતિને અનુરૂપ સમયાનુકુળ શિક્ષા-દિક્ષા આપવાના જે સફળ આયામો અપનાવ્યા છે તેની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષક દિવસ નિમિત્તે ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પી હતી. 'શિક્ષણ વિભાગ વિકાસ ગાથા' ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' વિતરણ સમારોહમાં પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ. આઈ. જોશી, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી શ્રીઓ, શિક્ષણ વિદો,એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત તેમના પરિવારજનો સહભાગી થયા હતા.