ગુજરાતમાં 8,71,000 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી : રાજ્યપાલ
Live TV
-
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. 7.71 લાખ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. કૃષિ વિભાગ દ્વારા વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. છેલ્લા ચાર મહિનામાં 12,64,000 ખેડૂતોને ઘર આંગણે તાલીમ આપવામાં આવી છે. 8,441 ગામો એવા છે જેમાં 75 થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે.
ગુજરાતમાં ઓગસ્ટ-૨૦૨૩ સુધીમાં 8,71,000 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી લીધી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સોમવારે રાજભવનમાં કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે પ્રાકૃતિક કૃષિની સ્થિતિની સમીક્ષા કરતાં કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં આપણે ગુજરાતને સંપૂર્ણ ઝેરમુક્ત ખેતી કરતો પ્રાકૃતિક પ્રદેશ બનાવવો છે. આખો દેશ ગુજરાત પાસેથી પ્રેરણા લે એવું રાજ્ય બનાવવું છે. જેમ યોગથી સમગ્ર વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઊભી થઈ છે, એમ પ્રાકૃતિક ખેતીથી વિશ્વસ્તરે ભારતની વિશેષ ઓળખ ઉભી થાય; એ માટે ગુજરાતે દુનિયાને સંદેશ આપવાનો છે. આ માટે જરૂર પડે તો હું 24 કલાક કામ કરવા તત્પર છું. સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ખેડૂતો પ્રોત્સાહિત થાય અને નાગરિકોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેત પેદાશો ઘર આંગણે સરળતાથી ઉપલબ્ધ થાય એ હેતુથી દર 10 ગામના ક્લસ્ટરમાં એક વેચાણ કેન્દ્ર, દરેક તાલુકામાં ચાર વેચાણ કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ 10 થી 12 પ્રાકૃતિક પેદાશોના વેચાણ કેન્દ્રો તાત્કાલિક શરૂ કરીએ.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે જોડાય. તેમના ખેત ઉત્પાદનો અને ભૂમિના ઓર્ગેનિક કાર્બનનો નિયમિત અભ્યાસ કરે, સંશોધનો કરે અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના લાભોને વૈજ્ઞાનિક અભ્યાસના આધાર સાથે ખેડૂતો સમક્ષ-વિશ્વ સમક્ષ મૂકે એ વર્તમાન સમયની માંગ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ કૃષિ યુનિવર્સિટીઓના પ્રાકૃતિક કૃષિના અભ્યાસના પ્રોત્સાહક પરિણામો બાબતે પ્રસન્નતા વ્યક્ત કરી હતી, અને ખેડૂતો સાથે રહીને તેમને સતત માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો.