રાજ્યના શૌચાલય વિહોણા 44 લાખથી વધુ પરિવારો માટે કરાયું શૌચાલયનું નિર્માણ
Live TV
-
વર્ષ-2014માં ભારતના વડાપ્રધાન પદનું દાયિત્વ સંભાળ્યાના ૬ માસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ‘સ્વચ્છ ભારત મિશન‘ની શરૂઆત કરાવી હતી. પરિણામે આજે ગુજરાતના તમામ જિલ્લાઓને ODF+ એટલે કે ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લાનો દરજ્જો હાંસલ થયો છે. જેને અનુસરતા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પાત્રતા ધરાવતા અને શૌચાલય વિહોણા કુલ 44 લાખથી વધુ પરિવારો માટે શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાજ્યમાં પ્રવાહી કચરાના નિકાલ અને તેના વ્યવસ્થાપન માટે ગામડાઓમાં વ્યક્તિગત અને સામૂહિક સોકપીટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે હાલમાં વ્યક્તિગત 4.80 લાખથી વધુ સોકપીટ અને સામૂહિક ૪૯ હજારથી વધુ સોકપીટનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘન અને પ્રવાહી કચરાના સુયોગ્ય નિકાલ માટે સ્વચ્છ ભારત મિશન અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે 899 એમ.ઓ.યુ. કરીને 5781 ગામોને આવરી લેવામાં આવ્યા છે. ઘન કચરાના વ્યવસ્થાપનની કામગીરીના ભાગરૂપે પણ હાલમાં 12,250 ગામોમાં કચરાનું ડોર ટુ ડોર કલેક્શન થાય છે, અને 5695 સેગ્રીગેશન શેડનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ‘ગોબર ધન પ્રોજેકટ‘ અંતર્ગત તમામ જિલ્લાઓમાં મળી કુલ 38 ક્લસ્ટર બેઇઝ બાયોગેસ પ્લાન્ટ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે કુલ 7600 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટના લક્ષ્યાંક સામે 7147 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, અને 543 બાયોગેસ પ્લાન્ટની કામગીરી કાર્યરત છે.