મોરબીમાં માળીયા-હળવદ હાઇવે પર પેપર મિલમાં આગ, 20 હજાર ટન માલ ભસ્મીભૂત
Live TV
-
અણિયારી ગામ નજીક પેપરમિલમાં ભયાનક આગ લાગી હતી અને આ આગને કારણે 20,000 ટન પેપરરોલનો મુદ્દામાલ ભસ્મીભૂત થઈ ગયો હતો.
મોરબી તાલુકાના અણિયારી ગામ નજીક માળીયા-હળવદ હાઇવે પર લિમિટ પેપર મિલ નામની ફેક્ટરીમાં કોઈ કારણસર રાત્રિના સમયે આગ ફાટી નીકળી હતી. પવનને કારણે ગણતરીની મિનિટમાં આગે ભયાવહ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને દુર દુર સુધી આગની જ્વાળાઓ ભભૂકતી જોવા મળી હતી. વેસ્ટેજ પેપર તેમજ તૈયાર પેપરના રોલ બંને માલ આગની ઝપટમાં આવી ગયો હતો. ઘટના અંગે ફેક્ટરીના સંચાલકોએ ફાયર વિભાગને જાણ કરતા સૌ પ્રથમ મોરબી અને હળવદ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે આગ વિકરાળ હોવાના કારણે ફાયરની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો જેથી ધ્રાંગધ્રા, રાજકોટ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે રાત્રિના નવ વાગ્યા સુધી પાણીનો મારો ચલાવ્યો હતો છતાં આગ પર કાબુ મેળવી શકાયો નહોતો, આગની આ ઘટનામાં 20,000 ટન જેટલો પેપરરોલ માલ બળીને ખાખ થઈ ગયો હોવાનું છતું થયું હતું. આગ કઇ રીતે લાગી તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.
પેપર મિલના ડિરેક્ટર શું કહ્યું ?
પેપર મિલના ડિરેક્ટર રાજેશ પટેલે કહ્યું હતું કે, "અમારા લેમિટ પેપર વેરહાઉસમાં આગ લાગી હતી. અમારો કાચો માલ તેમાં છે. અમને લગભગ 4 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા. અમારી પાસે ત્યાં લગભગ 10 હજાર મેટ્રિક ટન સામગ્રી છે."