રબારી સમાજે વાળીનાથ ધામમાં મુખ્યમંત્રીની કરી રજતતુલા
Live TV
-
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ મુકામે આવેલ વાળીનાથ મહાદેવના મંદિર ખાતે ગુજરાત રબારી સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રજતતુલા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તથા મોવડીમંડળે અમારા પર ભરોસો મૂકી નવી ટીમ ગુજરાત બનાવી છે ત્યારે સૌ સમાજોના વિકાસ માટે સરકાર કર્તવ્યરત રહેશે. તેમણે રબારી સમાજને સંબોધન કરતાં કહ્યું કે, રબારી સમાજ ખૂબ જ બુદ્ધિશાળી સમાજ છે. આ સમાજ સમજણ સાથે સમાધાનને રસ્તે ચાલે છે એટલે જ આટલી સારી પ્રગતિ કરી શક્યો છે.
મુખ્યમંત્રીએ તેમની રજતતુલા કરવામાં આવી છે તેની ચાંદી આ સમાજના યુવાનોના ઉચ્ચશિક્ષણ કાર્યો અને વાળીનાથ મંદિરના વિકાસ માટે વપરાય તેવો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, રબારી સમાજના પ્રેમનો સદાય હું ઋણી રહીશ. આ પ્રસંગે નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ કે, સરળ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સૌ સમાજના વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. તેમણે કહ્યું કે, રબારી સમાજ સમગ્ર દેશમાં ફેલાયેલો છે. સમયની સાથે રબારી સમાજ સામાજિક અને આર્થિક રીતે સદ્ધર બની રહ્યો છે. તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રીએ રબારી સમાજની દિકરી ડૉ. રાજુલ દેસાઈને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યની જવાબદારી સોંપી છે. રબારી સમાજ શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે સર્વ સમાજને સાથે રાખી ગુજરાતને આગળ વધારવા આપણે સૌ કટિબદ્ધ બનીએ. તરભ વાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુએ આશીર્વચન પાઠવતા જણાવ્યું કે, પૂજ્ય ગુરુજીના આશીર્વાદથી સમાજ શૈક્ષણિક રીતે આગળ વધી રહ્યો છે. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા, સ્વામી દશરથગીરી બાપુ, પૂર્વ મંત્રી રણછોડ રબારી, પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ, રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલ દેસાઈ સહિત રબારી સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.