રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
વિજેતા થનાર સ્પર્ધકને મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થશે.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24નો પ્રારંભ કરાવ્યો છે. મંત્રી હર્ષ સંઘવીએ આ સ્પર્ધાને ઐતિહાસિક ગણાવી હતી. આજના દિવસે ગુજરાતના 13,748 ગામડાઓ, નગરપાલિકાના 1,113 વોર્ડ અને મહાનગરપાલિકાના 170 વોર્ડના કુલ 8,53,385 સ્પર્ધકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકો તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. અને તાલુકા કક્ષાના વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. જ્યારે જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકને 2024ના નવા વર્ષના પ્રથમ દિવસના પહેલા સૂર્ય કિરણના સમયે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થશે.
મંત્રી હર્ષ સંઘવીએ સ્પર્ધા દરમિયાન 15 લાખથી વધુ લોકોની સામેલગીરીને ઐતિહાસિક ગણાવી. બાળપણથી જ વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય જાળવણી પ્રત્યે જાગૃતતા વધે તથા તમામ નાગરિકોની તંદુરસ્તી માટે જરૂરી એવા યોગઅભ્યાસના પ્રચાર-પ્રસાર અર્થે સરકાર સતત પ્રયત્નશીલ છે. યોગબોર્ડના ચેરમેન શીશપાલજીએ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે દૈનિક ધોરણે યોગ કરવા પર ભાર મૂક્યો હતો. યોગ અભ્યાસથી સ્વસ્થ રહેનાર વ્યક્તિ રાષ્ટ્રના વિકાસમાં પણ ઉત્તમ યોગદાન આપી શકે છે. આજના કાર્યક્રમમાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, સંસ્કારધામના કેમ્પસ ડિરેકટર મનીષભાઈ ઝાલા, યોગબોર્ડના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
