રાજભવનમાં NCC કેડેટ્સના સન્માનમાં 'એટ હૉમ' સમારોહ યોજાયો, રાજ્યપાલે શ્રેષ્ઠ કેડેટ્સનું કર્યું સન્માન
Live TV
-
ગુજરાતના 33 જિલ્લાઓમાં 1000 શાળા-કોલેજોમાં 70,670 જેટલા યુવાનો એન.સી.સી. સાથે જોડાયેલા છે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે NCC ગુજરાતના શ્રેષ્ઠ કેડેટ્સનું સન્માન કર્યું હતું. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેનાર ગુજરાત એન.સી.સી.ના કેડેટ્સના સન્માનમાં રાજભવનમાં 'એટ હૉમ' સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, દેશભક્તિ અને અનુશાસનમાં NCCના છાત્રો ભારતની સંપત્તિ છે. NCCના માધ્યમથી દેશસેવામાં પ્રવૃત્ત યુવાનોને તેમણે અભિનંદન આપ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, એન.સી.સી.ના છાત્રો જવાબદાર નાગરિક તરીકે સમાજની પ્રત્યેક જરૂરિયાત વખતે સેવા આપવા તત્પર રહે છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં નવી દિલ્હીમાં આખું ભારત એકત્ર થાય છે. આ પરેડમાં ભાગ લેવાથી વ્યક્તિગત પ્રતિભા વિકસે છે અને આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે. તેમણે એન.સી.સી.ના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા અને કેડેટ્સને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. એન.સી.સી. ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ રમેશ ષણ્મુગમે કહ્યું હતું કે, ગુજરાતના 33 જિલ્લાઓની 1000 શાળા કોલેજોમાં 70,670 જેટલા યુવાનો એન.સી.સી. સાથે સક્રિયતાથી જોડાયેલા છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસ પરેડમાં ગુજરાતમાંથી 119 કેડેટ્સની પસંદગી કરવામાં આવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે NCCમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શ્રેષ્ઠ કેડેટ્સ કશીશ કંસારા, અંશુલ ખંડેલવાલ, દેવી શિવરામન, ઋષભ ત્રિપાઠી, પ્રિયા ચૌધરી, યશ છેત્રી, નિતિકા સિંહ અને અસ્મિતા ભરાલીને મેડલ અર્પણ કરાયા હતા. NCC ગુજરાતના પાંચ મુખ્ય ગ્રુપમાંથી વર્ષ 2023માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વડોદરા ગ્રુપને ચેમ્પિયનશિપ બેનરથી સન્માનિત કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડોદરા ગ્રુપને ચેમ્પિયનશિપ બેનર અર્પણ કર્યું હતું.
