રાજ્યની મહિલાઓ વતી પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા મંત્રી ભાનુ બાબરીયા
Live TV
-
'નારી શક્તિ વંદન બિલ' નારીશક્તિમાં નવો જોમ અને જુસ્સો વધારશે: મંત્રી ભાનુ બાબરીયા
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। આ પંક્તિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'નારીશક્તિ વંદન બિલ' લોકસભામાં રજૂ કરીને ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીએ તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં અલાયદા મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી હતી. તેમના જ સમયકાળથી ગુજરાતમાં ઝેન્ડર બજેટ રજૂ કરવામાં આવે છે. આ બાબતો દર્શાવે છે કે, પ્રધાનમંત્રીએ હંમેશા મહિલા કેન્દ્રિત વિકાસને પોત્સાહન આપ્યું છે. તેમના જ વિચારને આગળ ધપાવવા માટે લોકસભામાં 'નારી શક્તિ વંદન બિલ' રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ પસાર કરવા બદલ રાજ્યની તમામ મહિલાઓ-નારીશક્તિ વતી રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
મંત્રીએ જણાવ્યું હતુ કે, આ ઐતહાસિક બિલ માતૃશક્તિમાં નવો જોમ અને જુસ્સો વધારશે. આ બિલ મહિલાઓમાં વધુ આત્મવિશ્વાસ પેદા કરશે જે દેશને નવી ઊંચાઈએ લઈ જઈ ભારતને વિશ્વગુરુ બનવા માટે મહત્વનું પુરવાર થશે. “નારી શક્તિ વંદન” અધિનિયમના ઐતિહાસિક કાયદાથી મહિલા સશક્તીકરણને વધુ વેગ મળશે. આ બિલ લાગુ થયા બાદ રાજકીય ક્ષેત્રે મહિલાઓ વધુ મોટી જવાબદારી નિભાવવા સક્ષમ બનશે. જેના થકી મહિલાઓ સ્ત્રી સશક્તીકરણ અંગેની નિતીઓ ઘડવામાં યોગદાન આપશે.
ભારતના નવા સંસદ ભવનમાં કામગીરીના શ્રીગણેશ કર્યા બાદ પહેલું બિલ ‘નારી શક્તિ વંદન વિધેયક’ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવા માટેની જોગવાઇ કરવામાં આવી છે. છેલ્લા 27 વર્ષથી આ બિલની માંગ કરવામાં આવી રહી હતી. મહિલા આરક્ષણ માટે રજૂ કરવામાં આવેલા બિલનું નામ '128મો બંધારણીય સુધારો બિલ 2023' છે, જેને કેન્દ્ર સરકારે 'નારીશક્તિ વંદન બિલ' નામ આપ્યું છે. આ બિલમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા અને વિધાનસભાઓમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે, જે બેઠકો પર માત્ર મહિલા ઉમેદવાર જ ચૂંટણી લડી શકશે. નારીશક્તિને સશક્ત કરતા આ બિલ લાવવા બદલ મંત્રી ભાનુ બાબરીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
