રાજ્યની વિકસતિ જાતિ કલ્યાણ વિભાગની 345 જેટલી શાળા અને છાત્રાલયોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું
Live TV
-
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં જનતાની દેશવ્યાપી ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો શુભારંભ કર્યો હતો. તેમની પ્રેરણાથી ગત 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાયેલ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી વ્યાપકપણે આગળ ધપાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
સ્વચ્છતા હી સેવા અભિયાનનો ઉદ્દેશ સ્વચ્છતા માટે મોટી સંખ્યામાં જનતાની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષે ઓક્ટોબર માસને સ્વચ્છતા અભિયાન તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે વિકસતિ જાતિ કલ્યાણ વિભાગની 345 જેટલી શાળા અને છાત્રાલયોમાં ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ હેઠળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા અને છાત્રાલયોના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ અભિયાન અંતર્ગત શાળા અને છાત્રાલયના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ જુદા જુદા વર્ગખંડો, વિદ્યાર્થીઓના રહેઠાણના રૂમ, લોબી, બગીચો, મેદાન, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ સહિતના સ્થળોની સાફ સફાઇ કરી હતી. આ ઉપરાંત, શાળા તથા છાત્રાલયોમાં વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃતિઓ યોજીને વિદ્યાર્થીઓ અને લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, વિકસતિ જાતિ કલ્યાણ હસ્તક 33 આદર્શ નિવાસી શાળાઓ, 68 સરકારી છાત્રાલયો, 57 ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયો અને 187 અનુદાનિત પ્રાથમિક નિવાસી શાળાઓ આવેલી છે. વર્ષ 2023-24 માં આદર્શ નિવાસી શાળાઓમાં અંદાજે 4500, સરકારી છાત્રાલયોમાં અંદાજે 3200 ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોમાં અંદાજે 38,647 અને અનુદાનિત પ્રાથમિક નિવાસી શાળાઓમાં અંદાજે 26,762 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
વિકસતી જાતિ કલ્યાણ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ જાતિઓ જેવી કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી-વિમુક્ત જાતિઓ અને લઘુમતીઓ માટે વિવિધ યોજનાઓ જેવી કે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટેની વિવિધ શિષ્યવૃતિની અમલમાં છે. વ્યક્તિલક્ષી યોજનાઓમાં વિદેશ અભ્યાસ લોન, કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે લોન, કુંવરબાઇનું મામેરૂ સહાય, સાતફેરા સમૂહ લગ્ન માટેની સહાય, પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના, માનવ-ગરિમા યોજના જેવી વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.
