રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરના શાહપુરમાં સ્વચ્છતા, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપ્યો
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરના શાહપુરમાં સ્વચ્છતા, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપ્યો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરના શાહપુર ગામે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરી 'સ્વચ્છતા એ જ સેવા'નો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલ સહિતના અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા.
સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ પર ભાર
સ્વચ્છતા અભિયાનની શરૂઆત પહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શાળાના બાળકોને તિરંગા આપીને પ્રોત્સાહિત કર્યા હતા અને ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
ગ્રામજનો સાથેના સંવાદ દરમિયાન તેમણે કહ્યું કે, "સ્વચ્છ ભારત અભિયાન માત્ર એક અભિયાન નથી, પરંતુ દરેક નાગરિકની સામાજિક અને નૈતિક ફરજ છે." તેમણે મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા કહ્યું કે, બાપુ પોતે સફાઈ કરતા હતા, અને સ્વચ્છતા તેમના જીવનનો અભિન્ન ભાગ હતી. તેમણે પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂકતા લોકોને તેમના જન્મદિવસ કે ખાસ પ્રસંગોએ એક વૃક્ષ વાવીને તેની સંભાળ રાખવાની અપીલ કરી હતી.
પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો અનુરોધ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીન, પાણી અને ખાદ્ય પદાર્થોમાં ઝેર ભળ્યું છે, જે માનવ સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે. તેમણે આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને ગણાવ્યો.
તેમણે માહિતી આપતાં કહ્યું કે, ગુજરાતમાં લગભગ 9 લાખ ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનથી પણ સાબિત થયું છે કે આ પદ્ધતિથી ઉત્પાદન ઘટે નહીં, પણ વધે છે. તેમણે ગ્રામજનોને આ જન આંદોલનમાં જોડાઈને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી.
વ્યસનમુક્તિ અને સુસંસ્કારનું આહવાન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનોને વ્યસનથી દૂર રહેવા, દીકરીઓને શિક્ષિત કરવા અને બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવા અપીલ કરી. તેમણે આશા વ્યક્ત કરી કે લોકોના સહિયારા પ્રયાસોથી સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ ચોક્કસપણે થશે.
