રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે એસ.ટી. બસમાં કરી મુસાફરી
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાની સાદગી અને જન સંવેદના માટે જાણીતા છે. આ જ શ્રેણીમાં, ફરી એકવાર તેઓ લોકભવનની સુખ સુવિધાઓ છોડીને સીધા જનતાની વચ્ચે પહોંચ્યા હતા.
રાજ્યપાલએ સુરતના અડાજણ બસ સ્ટેન્ડથી ઓલપાડ તાલુકાના જીણોદ ગામ સુધીની યાત્રા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ની સાધારણ બસમાં બેસીને કરી હતી. આ યાત્રાની સૌથી વિશેષ વાત એ રહી કે રાજ્યપાલએ પ્રોટોકોલ અને વિશિષ્ટ સુવિધાઓને બાજુ પર રાખીને, એક સામાન્ય નાગરિકની મુસાફરી કરી જાતે પોતાની ટિકિટ લઈ ડિજિટલ પેમેન્ટ દ્વારા ચુકવણી કરીને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપ્યું હતું. મે મહિનાની કાળઝાળ ગરમીમાં, જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે રાજ્યપાલ દ્વારા આ સાદગીપૂર્ણ પ્રવાસ શાસન પ્રત્યે જનતાના વિશ્વાસને વધુ મજબૂત કરે છે.
સફર દરમિયાન રાજ્યપાલએ બસમાં સવાર અન્ય મુસાફરો સાથે અત્યંત આત્મીય અને આદરપૂર્ણ સંવાદ કર્યો હતો. તેમણે મુસાફરોને તેમના ખબર અંતર પૂછ્યા, તેમની સમસ્યાઓને સમજી અને સરકારી પરિવહન સેવાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. મુસાફરો માટે પણ આ એક સુખદ અને આશ્ચર્યજનક ક્ષણ હતી કે તેમની વચ્ચે રાજ્યના પ્રથમ નાગરિક એક સામાન્ય મુસાફરની જેમ બેઠા છે.આ અગાઉ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઘણી વખત એસ.ટી. બસમાં મુસાફરી કરી ચૂક્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યપાલની આ યાત્રા તેમના જીવન મૂલ્યો, પ્રભાવી જનસંપર્ક અને જાહેર સેવાઓ પ્રત્યે તેમની નિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દર અઠવાડિયે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત કોઈ એક તાલુકામાં જઈને ગામની એક એકર જમીન પર ગ્રામજનો સાથે પ્રધાનમંત્રી મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરે છે. ત્યારબાદ ગામમાં ગ્રામજનો સાથે પોતે હાથમાં ઝાડું લઈને સફાઈ કરે છે. પછી ગામના કોઈ અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારના ઘરે રાત્રિ ભોજન ગ્રહણ કરે છે. રાત્રિ સભામાં ગ્રામજનો સાથે શિક્ષણ, સંસ્કાર, વ્યસનમુક્તિ, આરોગ્ય, પશુપાલન, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, પ્રાકૃતિક ખેતી વગેરે વિષયો પર ગોષ્ઠિ થાય છે. આ પ્રવાસ દરમિયાન રાજ્યપાલ કોઈ સુવિધાયુક્ત ભવનને બદલે ગામની સરકારી શાળાના સામાન્ય કક્ષમાં રાત્રિ વિશ્રામ કરે છે. વહેલી સવારે શાળાના બાળકો સાથે યોગ-પ્રાણાયામ કરે છે. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરતા કોઈ ખેડૂતના ખેતરની મુલાકાત લે છે અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન આપે છે. ખેડૂતના ખેતરમાં ગાયનું દૂધ દોહન પણ કરે છે. આ કાર્યક્રમના અંતિમ તબક્કામાં સમગ્ર તાલુકામાંથી આવેલા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીના વિષય પર સંવાદ કરે છે.
