રાજ્યમાં પીપીપી ધોરણે મુખ્ય બસ મથકોને સુવિધાજનક બસ પોર્ટમાં ફેરવાશે
Live TV
-
સુરતના અડાજણ ખાતે GSRTC અને હબટાઉન બસ ટર્મિનલ દ્વારા રૂપિયા 61.12 કરોડના ખર્ચે તૈયાર થયેલ અડાજણ બસ સ્ટેશનનું લોકાર્પણ
મુસાફરોને એસ.ટી. બસ દ્વારા મુસાફરી આરામદાયક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્યમાં પીપીપીના ધોરણે સંખ્યાબંધ બસ સ્ટેશનોને અદ્યતન સુવિધાયુક્ત બસપોર્ટમાં પરિવર્તિત કરાઈ રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતના અડાજણ ખાતે GSRTC અને હબટાઉન બસ ટર્મિનલ દ્વારા રૂપિયા 61.12 કરોડના ખર્ચે તૈયાર થયેલ અડાજણ બસ સ્ટેશનનું લોકાર્પણ કરતી વેળાએ જણાવ્યું હતું કે, જિલ્લાના મુખ્ય બસ સ્ટેશનને સુવિધાજનક બસ પોર્ટમાં ફેરવવામાં આવશે. બસ સ્ટેશનમાં 24 કલાક સફાઈ, ફ્રેન્ચાઈઝી ધોરણે ફુડકોર્ટ, બજેટ હોટલની સુવિધાના કારણે મુસાફરોને એરપોર્ટના વાતાવરણનો અહેવાસ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુસાફરો માટે એસ. ટી. વિભાગમાં વોલ્વો અને મિની બસની સંખ્યામાં વધારો કરાઈ રહ્યો છે. એસ.ટી. વર્કશોપમાં બસની બોડી બિલ્ડિંગ અને મેન્ટેનન્સ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યમાં કુલ 15 બસ સ્ટેશનને સુવિધાયુક્ત બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલે છે. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરત શહેરને મહાનગરપાલિકાને 429.60 કરોડની વિવિધ યોજનાની ભેટ આપી છે. જેમાં 30.24 કરોડનું સુડા ભવનનું લોકાર્પણ, સરથાણા - વાલક ખાતે રૂપિયા 1 હજાર 383 લાખના ખર્ચે વરાછાના સબ ઝોન બી વહિવટી ભવનનું ખાતમૂર્હુત , શાળા ભવનનું વિસ્તરણ, વાંચનાલય, જળ વિતરણ જેવા કામોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ટીપી સ્કીમને છ મહિનામાં પૂર્ણ કરી નકશા ઓનલાઈન કરાશે.
