રાજ્યમાં 6616 અધ્યાપક-શિક્ષક સહાયકોની ભરતી થશે: શિક્ષણમંત્રી
Live TV
-
રાજ્યના ઉચ્ચશિક્ષણ તેમજ ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકીર્દી ઘડતર માટે સમગ્રતયા ૬૬૧૬ જેટલી નવી ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે ૯ર૭ અધ્યાપક સહાયકોની ભરતી કરવામાં આવશે.
રાજ્યની કોલેજોમાં વિવિધ ૪૪ જેટલા વિષયો માટે ૯ર૭ અધ્યાપક સહાયકો સેવાઓ આ ભરતી પૂર્ણ થતાં મળતી થશે એમ પણ શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, અધ્યાપક સહાયકોની આ ભરતી માટે તા.20 જાન્યુઆરી-2021 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે. આ સાથે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ 5700 શિક્ષણ સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે એમ પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. તદઅનુસાર, નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 3382 અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2307 શિક્ષણ સહાયકોની નિમણૂંક કરવામાં આવશે.શિક્ષણ મંત્રીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે 3382 શિક્ષણ સહાયકોની ભરતી થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે અંગ્રેજી વિષય માટે 624, એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે 446, સોશિયોલોજી વિષય માટે 334, ઇકોનોમિકસ વિષય માટે 276, ગુજરાતી વિષય માટે 254 તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે. તે જ પ્રમાણે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે 1037, અંગ્રેજી વિષય માટે 442, સામાજિક વિજ્ઞાન વિષય માટે 289, ગુજરાતી વિષય માટે 234 તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ 2307 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજીએ મુખ્યમંત્રીશ્રીના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનમાં સમગ્રતયા આ નવી 6616 જેટલી નવી જગ્યાઓ પર યુવા શિક્ષણ સહાયકો ઉપલબ્ધ થતાં શિક્ષણ ક્ષેત્રે કુશળ માનવબળ નવો વર્કફોર્સ રાજ્યના વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતરમાં યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
