રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે રાજકોટનાં ગાંધી મ્યુઝિયમની પાંચ વર્ષમાં ૨.૭૭ લાખ લોકોએ મુલાકાત લીધી
Live TV
-
મહાત્મા ગાંધીને સમર્પિત ભવ્ય વિશ્વ સ્તરીય ગાંધી મ્યુઝિયમ રાજકોટ શહેરના જવાહર રોડ પર જ્યુબીલી ચોક નજીક આવેલું છે. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંયુક્ત રીતે મહાત્મા ગાંધી સંગ્રહાલયનું સંચાલન કરવામાં આવે છે. મુલાકાતીઓ ટિકિટ લઈને સવારે ૧૦ કલાકથી સાંજે ૦૭ કલાક સુધી મ્યુઝિયમ તેમજ સાંજે ૦૭.૩૦ કલાકે લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળી શકે છે. મ્યુઝિયમ દર સોમવારે બંધ રહે છે. રાજકોટ શહેર મહાનગરપાલિકાના એસ્ટેટ મેનેજર ભરત કાથરોટીયાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી સંગ્રહાલય એ રાજકોટનું એક એવું સ્થળ છે કે જ્યાં ગાંધીજીની જીવન યાત્રાનો જીવંત અનુભવ કરી શકાય છે. તા. ૦૧ ઓક્ટોબર, ૨૦૧૮થી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી ૨,૭૭,૨૮૫ લોકોએ મુલાકાત લીધી છે. જે પૈકી પાંચ વર્ષમાં ૧૩૦૧ વિદેશીઓ માટે ગાંધી મ્યુઝિયમ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતના પ્રવાસન વિભાગની સ્વદેશ દર્શન યોજના હેઠળ 'સર્વશ્રેષ્ઠ લાઇટ એન્ડ સાઉન્ડ શો'ની કેટેગરીમાં ગાંધી મ્યુઝીયમને દ્વિતીય ક્રમે પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મહાત્મા ગાંધી સંગ્રહાલયની વિશેષતા મહાત્મા ગાંધી સંગ્રહાલય એ દેશના રાષ્ટ્રપિતાને અપાયેલી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ છે. સંગ્રહાલય ખાતે ગેલેરી નં. ૦૧થી ૧૮માં ગાંધીજીનો જન્મ, શિક્ષણ, ફિનિક્સ આશ્રમની સ્થાપના, ચંપારણ, ખેડા અને બારડોલી સત્યાગ્રહ, દાંડીકૂચ, જલિયાવાલા બાગ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના સહિતના ગાંધીજીના જીવન પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. ગાંધીજીએ તમામ ધર્મોના મૂળ તરીકે સત્ય, બ્રહ્મચર્ય, અસ્વાદ, અહિંસા, અસ્પૃશ્યતા નિવારણ, અપરિગ્રહ, અભય, અસ્તેય, જાતમહેનત, સર્વધર્મ સમભાવ, સ્વદેશી વસ્તુઓ એમ ૧૧ મહાવ્રત આપી, વિશ્વને નવો માર્ગ દેખાડ્યો છે. આ તમામ પ્રતિજ્ઞાઓને ગેલેરી નં. ૧૯થી ૨૯માં દર્શાવવામાં આવી છે. તેમજ ગેલેરી નં. ૩૦થી ૩૯માં ગાંધીજીના પત્રો, વર્ગખંડ, મહાનુભાવો સાથેના સંબંધો જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આલ્ફ્રેડ હાઈસ્કૂલનું ગાંધી મ્યુઝીયમમાં પરિવર્તન રાજકોટમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલની સ્થાપના ઈ.સ. ૧૮૫૩માં તા. ૧૭મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. ગાંધીજીએ આ સ્કુલમાં ધો. ૦૧થી ધો. ૦૭ સુધી ઈંગ્લીશ મીડિયમમાં અભ્યાસ કર્યો હતો. ગાંધીજીના અભ્યાસકાળના સંસ્મરણો જાળવવા આલ્ફ્રેડ હાઈસ્કૂલને ગાંધી મ્યુઝીયમમાં પરિવર્તિત કરાઈ હતી. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મહાત્મા ગાંધી સંગ્રહાલયનું લોકાર્પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વરદ હસ્તે વર્ષ ૨૦૧૮માં ૩૦ સપ્ટેમ્બરે કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં આ શાળાને મોહનદાસ ગાંધી વિદ્યાલય અને કાઠિયાવાડ હાઈસ્કૂલ તરીકે ઓળખવામાં આવતી હતી.
