રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે નશીલા દ્રવ્યોના દુરુપયોગ રોકવા અને ગેરકાયદેસર તસ્કરી રોકવા માટે અનુકંપા (કરુણા) પર વેબિનાર યોજાયો
Live TV
-
ભારત સરકારનાં ગૃહ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) ખાતેની સ્કૂલ ઑફ ઇન્ટરનલ સિક્યુરિટી એન્ડ પોલીસ એડમિનિસ્ટ્રેશન (સિસ્પા- એસઆઈએસપીએ)એ 26 જૂન, 2023ના રોજ મનાવાયેલા નશીલા દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામેના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવા માટે અનુકંપા (કરુણા) પર અત્યંત માહિતીપ્રદ અને અસરકારક વૅબિનારનું આયોજન કર્યું હતું. આ વૅબિનાર હાઇબ્રિડ મોડમાં યોજાયો હતો, જેમાં નશીલા દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર દાણચોરીને નાથવા માટે અસરકારક વ્યૂહરચનાઓની ચર્ચા કરવા અને અન્વેષણ કરવા માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, પ્રેક્ટિશનર્સ, હિતધારકો, સુરક્ષા કર્મચારીઓ અને સહભાગીઓને એકત્ર કરવામાં આવ્યા હતા.
આરંભિક સત્રમાં એસઆઈએસપીએના ડાયરેક્ટર, મેજર જનરલ દીપક મહેરા (કીર્તિ ચક્ર, એવીએસએમ, વીએસએમ (નિવૃત્ત))એ પ્રારંભિક સંબોધન કર્યું હતું. જેમાં ડ્રગના દુરૂપયોગ દ્વારા ઉભા થયેલા પડકારોને પહોંચી વળવામાં કરુણાનાં મહત્વને પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આર.આર.યુ.ના માનનીય વાઇસ ચાન્સેલર પ્રો.(ડો.) બિમલ એન.પટેલે ઉદ્ઘાટન પ્રવચન કર્યું હતું, જેમાં તેમણે ભારત અને વિશ્વમાં નશીલા દ્રવ્યોના દુરુપયોગનો વ્યાપ અને આ મુદ્દાને હલ કરવા માટે વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાયદાઓની જાણકારી આપી હતી. તેમણે આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને સંસ્થાની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો. આર.આર.યુ.ના પ્રો.વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડૉ.) કલ્પેશ એચ. વાન્દ્રાએ સત્રની અધ્યક્ષતામાં કરુણાને પ્રોત્સાહન આપવા અને ડ્રગ સંબંધિત પડકારોને પહોંચી વળવા યુનિવર્સિટીઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. મુખ્ય વક્તવ્ય આસામના પોલીસ મહાનિદેશક આઈપીએસ જી. પી. સિંઘે આપ્યું હતું, જેમણે તેમના અમૂલ્ય અનુભવો વર્ણવ્યા હતા અને માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર દાણચોરીને અસરકારક રીતે હાથ ધરવા કરુણાપૂર્ણ અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નશીલા દ્રવ્યોના દુરુપયોગ સામે લડવા માટે 3 મુખ્ય ઘટકોનો ઉલ્લેખ કર્યો હતોઃ
1. અમલબજવણી એજન્સીઓ મારફતે ડ્રગનો પુરવઠો ઘટાડવો
2. પરિવારો અને સમાજને શિક્ષિત કરીને માગમાં ઘટાડો કરવો
3. આરોગ્ય સુવિધાઓની મદદથી નુકસાનને ઘટાડવું અને વ્યસનમુક્તિ કાર્યક્રમોહેરોઇનની જપ્તીનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે, આસામ પોલીસ દ્વારા વર્ષ 2022માં 38 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો પકડાયો હતો એની સરખામણીએ વર્ષ 2023માં પ્રથમ છ મહિનામાં 100 કિલો હેરોઇન પકડવામાં આવ્યું. આ સમસ્યાના વ્યાપ પર પ્રકાશ પાડતા તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં 7 ટકાની સરખામણીએ અમેરિકામાં નશીલા દ્રવ્યોનો ઉપયોગનો દર 20-25 ટકા છે, જોકે આપણા દેશની વસતિ સાથે 7 ટકા લોકો પણ બહુ મોટી સંખ્યા પુરવાર થાય છે અને એટલે નીતિનાં અમલીકરણ અને ઘડતર માટે સંશોધન-આધારિત હસ્તક્ષેપ માટે આરઆરયુ જેવી શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા એ સમયની જરૂરિયાત છે. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે આ મુદ્દે પ્રયોગમૂલક સંશોધન હાથ ધરવા માટે આરઆરયુ હેઠળ સમર્પિત કેન્દ્રની સ્થાપના કરવી જોઈએ, જે નીતિઓનાં વધુ સારાં અમલીકરણમાં તમામ એજન્સીઓને મદદ કરી શકે.
સમાપન વક્તવ્ય એસઆઈએસપીએમાં સેન્ટર ફોર બોર્ડર મેનેજમેન્ટ એન્ડ ઇન્ટેલિજન્સ સ્ટડીઝના વડા ડો. વી. કે. શ્રીવાસ્તવ દ્વારા આપવામાં આવ્યું હતું, જેમણે માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરીને રોકવા માટે તમામ હિતધારકો દ્વારા સહયોગ અને સામૂહિક પ્રયત્નોનાં મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. પોતાના વીડિયો સંદેશાઓ દ્વારા આ સત્રને માહિતગાર કરનારા અન્ય મહાનુભાવોમાં યુએનઓડીસી, વિયેનાનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી ગદા ફાથી વાલી અને નવી દિલ્હીના એનસીબીના ડીજી, આઈપીએસ સત્યનારાયણ પ્રધાનનો સમાવેશ થાય છે, જેમણે નશીલા દ્રવ્યોના દુરુપયોગનો ભોગ બનેલા લોકો સાથે કામ કરતી વખતે સહાનુભૂતિ અને કરુણાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
બીજા સત્રનું સંચાલન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અમદાવાદ ઝોનલ યુનિટના ઝોનલ ડાયરેક્ટર એસ.કે.મિશ્રાએ કર્યું હતું. તેમનાં સત્રમાં "ડ્રગ્સનો ઉપયોગ કરતા લોકો પર કલંક અને ભેદભાવની નકારાત્મક અસર અને તેમના પરિવારો પરની અસર" પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શ્રી એસ. કે. મિશ્રાએ શિક્ષણ, સામુદાયિક જોડાણ અને નિવારણના પ્રયાસોમાં વહેલાસર હસ્તક્ષેપની ભૂમિકાની ચર્ચા કરી હતી, જેમાં કરુણાપૂર્ણ સમાજનું નિર્માણ કરવામાં લાંછન અને ભેદભાવને દૂર કરવાનાં મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર, એઈમ્સ, નવી દિલ્હીના વડા અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયકિયાટ્રીના પ્રોફેસર અને વડા ડો. રાકેશ કે ચડ્ડાએ "ડ્રગના દુરૂપયોગ અને પુનર્વસન પ્રક્રિયાઓ વિશે જાગૃતિ સાથે સંકળાયેલા આરોગ્ય મુદ્દાઓ" પર ત્રીજું સત્ર યોજ્યું હતું. ડો. ચડ્ડાએ ડ્રગના દુરૂપયોગનાં સ્વાસ્થ્ય પરિણામોને સંબોધવામાં તેમની કુશળતા શેર કરી હતી અને વ્યસન સાથે સંઘર્ષ કરી રહેલી વ્યક્તિઓને ટેકો આપવા માટે પુનર્વસન પ્રક્રિયાઓ વિશે જાગૃતિ વધારી હતી.
ચોથું સત્ર મધ્ય પ્રદેશના અધિક પોલીસ મહાનિદેશક- આઈપીએસ ડૉ. વરુણ કપૂર દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમણે "માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરીનાં દૂષણને નાથવામાં કાયદા અમલીકરણ એજન્સીઓની ભૂમિકા" પર ચર્ચા કરી હતી. ડો. કપૂરે માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર દાણચોરીને નાથવામાં કાયદા અમલીકરણ એજન્સીઓની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને અસરકારક અમલીકરણ વ્યૂહરચનાઓમાં આંતરદૃષ્ટિ શેર કરી હતી.
દિવસભર ચાલેલા આ વૅબિનારમાં 1000થી વધારે લોકોએ ભાગ લીધો હતો, જેમાં બીએસએફની વિવિધ બટાલિયનો અને એનએસજી અધિકારીઓની ઉપસ્થિતિવાળાં સંયુક્ત સત્રો સામેલ હતાં. સહભાગીઓએ અર્થપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લીધો હતો. દરેક સત્ર પછી પૂછવામાં આવેલા પ્રશ્નોની સંખ્યાએ ડ્રગના દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરીથી સંબંધિત બાબતોમાં ભાગ લેનારાઓની આતુર રુચિ દર્શાવી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય મીડિયા દ્વારા કવર કરાયેલા આ સમગ્ર કાર્યક્રમમાં અનુકંપા (કરુણા)નો સંદેશો રાષ્ટ્રના ખૂણે-ખૂણે લઈ જવામાં આવ્યો હતો. નશીલા દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામેના આંતરરાષ્ટ્રીય દિવસ પર વૅબિનાર અનુકંપા (કરુણા)એ નિષ્ણાતો, કાયદા અમલીકરણ એજન્સીઓ, શિક્ષણવિદો અને નાગરિક સમાજ માટે આ મહત્ત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાને હાથ ધરવા અને ઉકેલવા સફળતાપૂર્વક એક મંચની રચના કરી છે. આ કાર્યક્રમમાં સહયોગને પ્રોત્સાહન અપાયું હતું, જાગૃતિ લાવવામાં આવી હતી અને નશીલા દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર દાણચોરી સામે લડવા કરુણાનાં મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.