અમદાવાદમાં એક મહિનો ચાલેલા કેસર કેરી મહોત્સવ-2023માં 2.94 લાખ કિગ્રાથી વધુ કેરીનું વેચાણ થયુ
Live TV
-
દેશના ખેડૂતોની આવક બમણી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો કરવા સતત પ્રયત્નો કરી રહી છે. ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે, આવક વધે અને સાથે નાગરિકોને રસાયણમુક્ત ખેતપેદાશો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ ઉપર વધુ ભાર આપી રહી છે. સાથે જ રસાયણમુક્ત અને પ્રાકૃતિક ખેતપેદાશોને પ્રોત્સાહિત કરવા સમયાંતરે વિશેષ આયોજનો પણ હાથ ધરવામાં આવતા હોય છે. શહેરી નાગરિકોને કાર્બાઈડ ફ્રી કેરી અને ખેડૂતોને તેમની કેરીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર વર્ષ 2007થી દર વર્ષે ઉનાળાની સીઝનમાં ‘કેસર કેરી મહોત્સવ’ નું આયોજન કરે છે. આ વર્ષે પણ અમદાવાદ હાટ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલે તા.18 મે, 2023ના રોજ આ ‘કેસર કેરી મહોત્સવ-2023’નો શુભારંભ કરાવ્યો હતો. આ વર્ષે અમદાવાદીઓએ કાર્બાઈડ ફ્રી અને ઓર્ગેનિક કેસર કેરી ખાવામાં કોઈ કસર છોડી નથી એમ કહી શકાય.
ગત વર્ષે યોજાયેલા કેરી મહોત્સવમાં ખેડૂતો દ્વારા 92 હજાર કિલોગ્રામ જેટલી કેરીનું વેચાણ થયું હતું, જેની સામે આ વર્ષે એક મહિનાના સમયગાળામાં ખેડૂતો દ્વારા 2.94 લાખ કિલોગ્રામથી પણ વધુ કેસર કેરીનું વેચાણ કરવામાં આવ્યુ છે.
આ વર્ષના કેરી મહોત્સવમાં કુલ 83 જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં 58 ફાર્મર ગ્રુપ, 15 નેચરલ ફાર્મિંગ એફ.પી.ઓ., 5 સી.બી.બી.ઓ અને 4 સહકારી મંડળીના સભાસદોએ તેમની ગુણવત્તાયુક્ત અને કાર્બાઈડ ફ્રી કેસર કેરીનું વેચાણ કરી સામાન્ય કરતા 30 થી 35 ટકા વધુ આવક મેળવી છે. સમગ્ર વિશ્વમાં આ વર્ષને આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે, આ કેરી મહોત્સવમાં ભારત સરકારની પી.એમ.એફ.એમ.ઈ. યોજનાના લાભાર્થીઓની પ્રોડક્ટ્સ, મીલેટ આધારિત પેદાશો તેમજ એફ.પી.ઓ. દ્વારા બાજરો, મગ જેવા પ્રાકૃતિક કૃષિ આધારિત ધાન્યોનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના ઉત્પાદનોની આયુ વધારવા કૃષિ વિભાગ હેઠળના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમિટેડ દ્વારા રાજ્યના વિવિધ સ્થળોએ શીતાગારની સાથે સોર્ટીંગ, ગ્રેડીંગ, પેકીંગ અને રાઈપનીંગ, ઈ-રેડીએશન પ્રોસેસિંગ યુનિટ, ઈન્ટી ગ્રેટેડ પેક હાઉસ તેમજ પેરીશેબલ કાર્ગો કોમ્પ્લેક્ષ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.