લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને વિજય બનાવવા બદલ ઋષિકેશ પટેલે જનતાનો માન્યો આભાર
Live TV
-
ભારત સરકારના નવા મંત્રી મંડળમાં ગુજરાતના 6 સાંસદને સ્થાન મળ્યું તે ગર્વની વાત: ઋષિકેશ પટેલ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી-2024 બાદ આજે પ્રથમ રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે; લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં કેન્દ્રમાં NDA ગઠબંધનની સરકાર બનતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે. આથી સમગ્ર ગુજરાત વતી તેમને અભિનંદન પાઠવવામાં આવે છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતને વિશ્વ ગુરૂ અને વર્ષ 2047 સુધીમાં વિકસીત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પપૂર્તિ માટે કટિબદ્ધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વિકાસ માટે અવિરતપણે સેવામાં રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રચાયેલા ભારત સરકારના નવા મંત્રીમંડળમાં ગુજરાતના 2 રાજ્યસભાના સાંસદ અને 4 લોકસભાના સાંસદને સ્થાન મળ્યું છે, તે ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં દેશના નાગરિકોએ ફરી એકવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશભરમાં 292 લોકસભા બેઠકો પર NDA ગઠબંધનને જંગી વિજય અપાવી છે. ગુજરાતની જનતાએ પોતાનો અમૂલ્ય વોટ આપીને ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર પ્રત્યે પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે, જેથી ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે.
