વઢવાણના ઐતિહાસિક ‘હવામહલ’ ખાતે 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: મહિલાઓએ સામૂહિક યોગાભ્યાસ દ્વારા આપ્યો સ્વાસ્થ્યનો સંદેશ
Live TV
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલે બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શીર્ષ નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૧૪થી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ છે અને આજે સમગ્ર વિશ્વ તેને ઉત્સાહથી ઉજવી રહ્યું છે. વઢવાણના હવામહલ ખાતે બહેનોએ એકત્રિત થઈને જે અદભુત યોગાભ્યાસ કર્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. મહિલાઓ પરિવારની ધરી છે, જો એક સ્ત્રી સ્વસ્થ રહેશે તો આખો પરિવાર સ્વસ્થ રહેશે.
૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬ નિમિત્તે મહિલા સશક્તિકરણ અને વિશેષ સહભાગીદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સુરેન્દ્રનગરમાં વઢવાણ સ્થિત ઐતિહાસિક અને આઈકોનિક સ્થળ 'હવામહલ' ખાતે માત્ર મહિલાઓ માટે ખાસ સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. 'Yoga for Healthy Ageing'ની થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વાસ્થ્યનો સુંદર સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલે બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શીર્ષ નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૧૪થી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ છે અને આજે સમગ્ર વિશ્વ તેને ઉત્સાહથી ઉજવી રહ્યું છે. વઢવાણના હવામહલ ખાતે બહેનોએ એકત્રિત થઈને જે અદભુત યોગાભ્યાસ કર્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. મહિલાઓ પરિવારની ધરી છે, જો એક સ્ત્રી સ્વસ્થ રહેશે તો આખો પરિવાર સ્વસ્થ રહેશે. પોતાની વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ બહેનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને યોગને જીવનનો હિસ્સો બનાવે તે જ આજના દિવસનો સાચો સંદેશ છે.
આ કાર્યક્રમમાં યોગ કોચ સાયનાબેન ચામડીયા તેમજ યોગ ટ્રેનર્સ વર્ષાબેન પટેલ, નમ્રતાબેન પટેલ અને ઇલાબેન ખવા દ્વારા ઉપસ્થિત સૌ મહિલાઓને નિયત પ્રોટોકોલ અનુસાર શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. યોગ નિષ્ણાતોએ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ પ્રાયોગિક રીતે કરાવીને તેનાથી શરીર અને મન પર થતા સકારાત્મક ફાયદાઓની સચોટ માહિતી આપી હતી. તેમની સરળ સમજૂતી અને માર્ગદર્શન હેઠળ સૌ કોઈએ ઉત્સાહપૂર્વક દરેક આસનો કર્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યોગ ટ્રેનર નમ્રતાબેન પટેલે જણાવ્યું હતું કે, આજે બહેનોને વિવિધ આસનો અને ખાસ કરીને પ્રાણાયામનો સઘન અભ્યાસ કરાવવામાં આવ્યો છે. પ્રાણાયામ એ યોગનું હૃદય અને આત્મા છે, જે શરીર અને મનને ઊર્જાથી ભરી દે છે. માત્ર બે કે પાંચ દિવસ યોગ કરવાથી તાત્કાલિક સ્વાસ્થ્ય લાભ દેખાતો નથી, પરંતુ જો બહેનો આજના આ આયોજનમાંથી પ્રેરણા મેળવીને માત્ર ૧૦ ટકા જેટલો ભાગ પણ પોતાના રોજિંદા જીવનમાં ઉતારશે અને નિયમિત અભ્યાસ ચાલુ રાખશે, તો આવનારા છ મહિનામાં તેમને પોતાના સ્વાસ્થ્યમાં અદભુત અને સકારાત્મક પરિણામો ચોક્કસ જોવા મળશે.
યોગ કોચ સાયનાબેન ચામડીયા અને યોગ ટ્રેનર ઇલાબેન ખવાએ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક હવામહલના પરિસરમાં પ્રથમ વખત ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો ભાગ બનીને અમને અત્યંત આનંદ થાય છે. આ આયોજનમાં લોકજાગૃતિ લાવવાના હેતુથી બહેનોને યોગ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ બહેનોનો ઉત્સાહ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સભ્યોનો સહકાર ખરેખર અદભુત અને પ્રેરણાદાયી રહ્યો હતો.
